ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજનાં રોજ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક માટે અમિત શાહનું નામ જાહેર થયાં બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત આવ્યાં છે. આ દરમિયાન NDAમાં સામેલ સહયોગી પક્ષોના નેતાઓ પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યાં હતાં. જેમાં ખાસ કરીને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હાજરી આપીને સંબોધન કર્યુ હતું જેમાં તેમણે વિરોધીઓ પર ચાબખા માર્યા હતાં.
અવાર નવાર ભાજપ પર અને પીએમ મોદી પર પ્રહાર કરનાર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અમિત શાહની ભવ્ય રેલીમાં હાજરી આપી. ત્યારે કાર્યક્રમમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંબોધન કરતા તેઓએ કહ્યું કે, મારી હાજરીથી ઘણઆને તકલીફ પહોંચી હશે. કેટલાક લોકોનું પેટ દુખ્યું હશે. પરંતુ જેમને તકલીફ છે એમનો ઇલાજ મારી અને અમિત શાહ પાસે છે. અમે બધા વિવાદો ઉકેલી લીધા છે.
મને 1982ના દિવસો યાદ આવી ગયાંઃ અમિત શાહ
ભારતીય રાજનીતિના આધુનિક ચાણક્ય તરીકે જાણીતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્યારે આજે અમિત શાહે ચાર કિલોમીટર લાંબા અને ત્રણ કલાક રોડ શો પહેલા સરદાર ચોકમાં જનસભાને સંબોધન કર્યુ. એટલું જ નહીં આ દરમિયાન NDAમાં સામેલ સહયોગી પક્ષોના નેતાઓ પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા ત્યારે રોડ શો પહેલા અમિત શાહે જનસભાને સંબોધન કરતા કહ્યું કે, આજે મને 1982ની યાદ આવી ગઈ.
1982માં હું અહીં બૂથ કાર્યકર્તા તરીકે જોડાયો હોત. નારણપુરા વિસ્તારમાં હું પોસ્ટર અને પરચીઓ ચિપકાવતો હતો અને આજે પાર્ટીનો અધ્યક્ષ છું. આજે મારી પાસે જે કંઈ પણ છે તે ભાજપના હિસાબે જ છે. આજે ચૂંટણી માત્ર એક જ વાત પર લડવામાં આવશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે.
દેશના ખૂણે ખૂણેથી મોદી. મોદી. અવાજ આવી રહ્યો છે. મોદી નિશ્ચિત રૂપે દેશના પ્રધાનમંત્રી બનશે. હું ગુજરાતની જનતાને અપીલ કરવા માગુ છું કે ગુજરાતની તમામ 26 સીટો નરેન્દ્ર મોદીને આપી દો અને શાનથી પ્રધાનમંત્રી બનાવો.