પોતાના જમ્મુ કાશ્મીર પ્રવાસનાં આખરી દિવસે ગૃહમંત્રી અમિત શાહ કોઈ વિશેષ સુરક્ષા વ્યવસ્થા વગર શ્રીનગર સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા
જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે આજે તેમના પ્રવાસનાં આખરી દિવસે શ્રીનગરમાં એક સભાને સંબોધિત કરી હતી.
આ સભામાં તેમણે કહ્યું હતું કે જો અમે ઈન્ટરનેટ બંધ ન કર્યું હોત તો કાશ્મીરનો યુવાન જ મરત.
તમારા મનમાંથી ડર દૂર કરી દો
શાહે કહ્યું હતું કે જો 5 ઓગસ્ટે ઈન્ટરનેટ બંધ ન કર્યું હોત તો કેટલાક લોકો યુવાનોને ઉશ્કેરત અને તેનાથી ઘણા લોકો જીવ ગુમાવત. કાશ્મીરના વિકાસમાં ખલેલ પહોંચાડનારા લોકો સફળ થશે નહીં. શાહે કહ્યું કે તમે બધા તમારા દિલમાંથી ડર દૂર કરો. કાશ્મીરની શાંતિ અને વિકાસની યાત્રાને હવે કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે હું સુરક્ષા વગર તમારી વચ્ચે આવ્યો છું.
PM મોદીનું હૃદય અહીં વસે છે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીનું હૃદય જમ્મુ -કાશ્મીરમાં રહે છે. તેઓ હંમેશા તેનો ઉલ્લેખ પન કરે છે. જમ્મુ -કાશ્મીરના વિકાસને કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં. પાકિસ્તાનને બદલે હું ખીણના લોકો સાથે વાત કરીશ. શાહે કહ્યું કે લોકો કહેતા હતા કે 370 નાબૂદ થયા પછી કાશ્મીરીઓની જમીન છીનવાઈ જશે, પરંતુ કયા ગામમાં લોકોની જમીન છીનવાઈ ગઈ? આ સાચુ નથી. 70 વર્ષનો ભ્રષ્ટાચાર નાથવા માટે અને સારું કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.