નાગરિકતા સંશોધન કાયદાને લઇને કોંગ્રેસ પર ફરી એક વખત ગૃહ મંત્રી અમિત શાહે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એન્ડ કંપની અફવા ફેલાવી રહી છે કે આ કાયદો અલ્પસંખ્યકોની નાગરિકતા છીનવી લેશે.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રાહુલ બાબા હું તમને ચેલેન્જ આપું છું કે આ કાયદામાં એક પણ જગ્યાએ કોઇ પણની નાગરિકતા લેવાની જોગવાઇ છે તો બતાવે.
તેમણે કહ્યું કે, દેશના તમામ મુસ્લિમ ભાઈ-બહેનોને અપીલ છે કે પહેલા ખુદ નાગરિકતા સંશોધન કાયદાને સમજે અને બાદમાં બીજાને પણ સમજાવે. નહીં તો જૂઠ અને ભ્રમ ફેલવાનાર રાજકીય પક્ષો પોતાના વોટ બેંકના સ્વાર્થ માટે આપણને એકબીજા સાથે આમ જ લડાવતા રહેશે.
નેહરૂ-લિયાકત કરાર ફેલ થવાના કારણે આ એક્ટ આવ્યો
શિમલામાં હિમાચલ પ્રદેશ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના સમયે અમિત શાહે કહ્યું કે 1950માં નેહરૂ-લિયાકત કરાર થયો, જે હેઠળ એ નક્કી થયું હતું કે બન્ને દેશ પોતાને ત્યાં અલ્પસંખ્યકોનું સંરક્ષણ કરશે. લાખો-કરોડો શરણાર્થિઓની કોઈ ખબર પણ નહોતું લઇ રહ્યું.
રાહુલે કહ્યું, ગરીબો પર ટેક્સની જેમ NRC
જણાવી દઇએ કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેટલીક વખત નાગરિકા સંશોધન કાયદાનો વિરોધ કરતા કહ્યું હતું કે આ ગેરબંધારણીય છે. એટલું જ નહીં શુક્રવાર સવારે રાયપુરમાં પણ એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે NRC હોય કે પછી NRP આ ગરીબો પર ટેક્સની જેમ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નોટબંધી ગરીબો પર ટેક્સની જેમ હતી. ગરીબ લોકો પર હુમલો હતો અને હવે સામાન્ય લોકો પૂછી રહ્યા છે કે અમને નોકરીઓ કેમ મળશે?