અમદાવાદમાં રોડ-રસ્તાને લઈ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરાયા બાદ 30 ઓક્ટોબર પહેલા રસ્તાનું સમારકામ કામ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
અમદાવાદમાં રોડ-રસ્તાને લઇ ચર્ચા
સ્ટેન્ડિંગ કમિટીમાં ખરાબ રસ્તાને લઇ ચર્ચા
30 ઓક્ટોબર પહેલા કામ પૂર્ણ કરવા આદેશ
અમદાવાદમાં ત્રાટકેલા ભારે વરસાદને લઇને શહેરના મોટા ભાગના રસ્તાઑ ખખડી ગયા હતા. આથી શહેરીજનોને ઉપાધીનો કોઇ પાર નથી. આ મામલે અમદાવાદ મહાનગરપાલિકા પણ મોટા પાયે લોક રોષનો ભોગ બની હતી. તેવામાં અનેક આક્ષેપો અને રસ્તા બાબતે પક્ષ-વિપક્ષ વચ્ચે ઘમાસાણ સર્જાયા બાદ માનપા તંત્ર ખરાબ રસ્તા મામલે કુંભકર્ણની ઊંઘમાંથી જાગ્યું છે અને હવે છેક તંત્રને લોકોની પરેશાની સમજાણી હોય તેમ તાબડતોબ કામગીરીના આદેશ કર્યા છે.
રોડ રસ્તાને કારણે નાગરિકોને પડી છે હાલાકી
અમદાવાદમાં રોડ-રસ્તાને લઈ લોકોમા તંત્રની કામગીરી સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના તમામ રોડ રસ્તાનું સમારકામ કરવા અંગેના આદેશ છૂટ્યા છે અને 30 ઓક્ટોબર પેહલા રિપેરિંગ કામ પૂર્ણ કરી તમામ માર્ગેને નવાનકરો કરી દેવા સબંધિત વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. જેને લઇને પ્રજાજનોની પરેશાનીનો અંત આવે તેવા ઉજળા સંજોગો વર્તાઇ રહ્યા છે.
અગાઉ અનેક વખત થયો હતો વિરોધ
અમદાવાદમાં વાડજવાસીઓએ તો મગરની પીઠ જેવા માર્ગથી કંટાળી જઇ અગાઉ ઢોલ-નગારા સાથે બિસ્માર રોડ પર રેલી કાઢી અને પૂજા કરી હતી. વધુમાં અમદાવાદમાં રસ્તે રસ્તે ખાડા છતાં પણ ઈજનેર વિભાગ ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યા હોવાથી અગાઉ મનપાની બેઠકમાં કમિશનરે પણ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી આકરી કાર્યવાહીની સૂચના આપી હતી. વધુમાં શહેરના મોટા ભાગના રસ્તાઓની આ જ હાલત હોવાથી બોર્ડમાં પણ વિપક્ષ દ્વાર વિરોધ કરી ચાબખા મારવામાં આવ્યા હતા. ત્યારે હવે તંત્રના આદેશ બાદ ઉપાધિનો અંત આવે છે કે કેમ? તે જોવાનું રહ્યું !