બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ આરાસુરી અંબાજી માતાનું સ્થાનક ભારતભરની ૫૧ શક્તિપીઠો માં આગવું સ્થાન ધરાવે છે.
પુરાણનાં એક ઉલ્લેખ મુજબ દક્ષ પ્રજાપતિ ‘બુહ્સ્પતિક’ યજ્ઞ કરેલ જેમાં પોતાના જમાઈ ભગવાન શંકરને નિમંત્ર્યા ન હતા.તેથી તેમના વિરોધ છતાં દક્ષપુત્રી સતીદેવી ત્યાં ગયા.જ્યાં પિતાના મુખે પોતાના પતિની નિંદા સાંભળી યજ્ઞકુંડમાં પ્રાણ ત્યજી દીધો.ત્યારે ભગવાન શિવે સતીદેવીનો નિશ્ચેતન દેહ જોઈ તાંડવ કર્યું.સતીદેવીને ખભે લઇ ત્રિલોક ઘૂમવા લાગ્યા ત્યારે સૃષ્ટિ નાશ થશે તેવા ભયથી વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતીદેવીના ટૂકડા કરી પૃથ્વી પર આંતરે-આંતરે વેરાવી દીધા.આ શરીરના તથા આભુષણના ભાગ પ૧ સ્થળે પડ્યા જ્યાં દરેક જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઇ.’તંત્ર-ચુડામણી’માં આ ૫૧ શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે.આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે.આ પીઠ અંગે અન્ય કથા પણ મળે છે.
અંબાજીમાતાનું મૂળમંદિર બેઠા ઘાટનું છે.વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે.અહીં મૂર્તિના સ્થાને વીસાયંત્રની પૂજા થાય છે. યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ વાઘ હાથી નંદી ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે/મંદિરની સામેની બાજુમાં ચાચરચોક આવેલો છે.અંબાજીમાતા ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે.અહીં ચોકમાં હોમ હવન કરાય છે.
પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે.આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનોસાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.અને ખાસ ભાદરવી પુનમના દિવસે અહી મેળાનું પણ આયોજન થાય છે.અંબાજી ગામ શણગાર સજે છે.આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે અને માતાજીને ૫૬ ભોગ ધરાવવામાં આવે છે.
અંબાજી દેવસ્થાનની પશ્ચિમ દિશામાં ત્રણેક કિમીના અંતરે ગબ્બર આવેલો છે. આ સ્થળ માતાજીનું પ્રાગટ્ય સ્થળ હોવાની માન્યતા છે.
ભાગવતના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની બાબરી-ચૌલકર્મ વિધિ આ સ્થળે કરાઈ હતી. પગથિયા તેમજ રોપ-વે દ્વારા ગબ્બર પર જઈ શકાય છે.જ્યાં અંખડ દીપ જ્યોત અવિરત ઝળહળે છે.આ જ્યોત અંબાજી મંદિરમાંથી પણ નરીઆંખે જોઈ શકાય છે. અંબાજી માતા મંદિરનો વહીવટ હાલમાં ‘શ્રી આરાસુરી અંબાજીમાંતા દેવસ્થાન ટ્રસ્ટ’ના નામે કલેક્ટરશ્રી ઉપરાંત અન્ય ટ્રસ્ટી સમિતિ સભ્યો દ્વારા કરવામાં આવે છે.નાયબ કલેકટર કક્ષાના અધિકારી વહિવટદાર તરીકે સંપૂર્ણ સમય માટે સંચાલન કરે છે.
અંબાજી મંદિરના ૧૦૩ ફુટ ઊંચા શિખર પર ૩ ટન વજનનો કળશ મુકાયેલ છે.શિખર પર મુકવામાં આવેલ સુવર્ણ કળશ નીચેના આંબલસારાને પણ સુવર્ણ જડિત કરાયેલ છે.અત્યારે ૩૫૮ જેટલા સુવર્ણકળશ ઝળહળી રહ્યા છે.ભારતભરના ૫૧ શક્તિપીઠોમાં સૌથી વધારે સુવર્ણકળશ ધરાવતું આ મંદિર છે.આ મંદિરના પ્રાંગણમાં ૫૧ શક્તિપીઠોનો મહિમા સમજાવી ૪૫ મીનીટની ૩ડી ફિલ્મ બતાવવામાં આવે છે.
ગિરીકંદરાઓની વચ્ચે કુદરતી સૌન્દર્યથી ભરપૂર અંબાજી યાત્રાધામ બારેમાસ યાત્રાળુઓની આવન-જાવનથી ધમધમતું રહે છે.આ તીર્થધામ અમદાવાદથી ૧૭૦ કીલોમીટરના અંતરે આવેલ છે.નજીકનું એરપોર્ટ અમદાવાદ છે.નજીકનું રેલ્વે સ્ટેશન આબુરોડ છે ત્યાંથી અંબાજી ૨૦ કી.મી છે.