ફરી એક અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. ગુપ્તચર વિભાગના રિપોર્ટ મુજબ આતંકીઓ અમરનાથ યાત્રા પર કાર બોમ્બથી હુમલો કરી શકે છે. 28 જૂનથી શરૂ થનારી આ યાત્રાની સુરક્ષા માટે 40 હજાર જેટલા જવાન તૈનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનામાં સીઝફાયર દરમિયાન આતંકીઓએ જે ઘટનાને અંજામ આપ્યો છે. તેનાથી સૈન્ય અને સરકાર સુરક્ષાના દરેક સ્તર પર નજર રાખી રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આતંકીઓ હવાઈ હુમલા કરી શકે છે. જેના પગલે ડ્રોન દ્વારા પણ વોચ રાખવમાં આવશે.
ભારતીય સૈન્ય દ્વારા હવાઈ સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે. આતંકીઓ યાત્રીઓની ગાડીઓને પણ નિશાન બનાવી શકે છે. જેથી રાત્રિના સમયે ગાડીઓની અવર જવર પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. બીજી તરફ યાત્રા દરમિયાન યાત્રિકો સુરક્ષિત રહે તે માટે રસ્તામાં આવતા ખૈરમ ગામને પણ સીલ કરી દેવાયું છે.
આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા પણ આ મામલે કેટલાક રિપોર્ટસ મળ્યા હતા. આ રિપોર્ટ મુજબ આતંકી અમરનાથ યાત્રા રુટ પર ફિદાઇન હુમલો કરી શકે છે. ત્યારે આતંકીઓની આ હરકતને કામયાબ ન થવા દેવા માટે શ્રીનગરમાં NSGના બ્લેક કેટ કમાન્ડોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. આ કમાન્ડો કોઇપણ પરિસ્થિતિમાં આતંકીઓ સામે ટકરાવામાં તૈયાર છે.
ગુપ્ત રીતે મળતી માહિતી મુજબ NSGના કમાન્ડોને કપરી સ્થિતિમાં પણ લડવા માટે અલગ રીતે ટ્રેનીગ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 28 જુનના રોજ શરૂ થશે.આપને જણાવી દઇએ કે ઘાટીમાં અંદાજીત 205 આતંકવાદી છુપાયેલા હોવાની બાતમી ભારતીય સેનાને પ્રાપ્ત થયેલ છે. જેના કારણે ભારતના જવાનો સતર્ક થઇને અમરનાથ યાત્રા દરમિયાન કોઇ અઘટિત બનાવ ના બને તે માટે સતત પેટ્રોલિંગ શરૂ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમરનાથ યાત્રિકો પર હિઝબુલ કરતા ISISનો ખતરો વધુ તોળાઈ રહ્યો છે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વના 85 દેશો પર હુમલો કરનાર ISIS કાર બોમ્બથી હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જેવી રીતે યુરોપના દેશોમાં વિસ્ફોટકોથી ભરેલી કારને ભીડ વચ્ચે લઈ જઈ વિસ્ફોટ કરવામાં આવે છે તેવી જ રીતે જમ્મૂ-કશ્મીરમાં પણ હુમલો કરવાની ફિરાકમાં આતંકીઓ છે.
પરંતુ તેમના દરેક ષડયંત્રને નાકામ કરવા માટે સુરક્ષાબળ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા માટે NSG કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકીઓના મોતની ટિકીટ કપાઈ ચૂકી છે. સૈન્ય સામે અમરનાથ યાત્રામાં માત્ર લોકોને બચાવવા જ નહીં પણ બચાવીને સુરક્ષિત કાઢવા પણ એક પડકાર બન્યો છે. એટલા માટે જ આતંકીઓને વીણી વીણીને મારવા માટે NSG કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.