અલ્ઝાઇમર્સ મગજના કોષોનો નાશ કરતો રોગ છે, જેની અસર યાદશક્તિ, વર્તણૂક પર થાય છે તેમજ વ્યક્તિ એક તબક્કે પોતાના ભૂતકાળને જ યાદ ન કરી શકે એ હદ સુધી વધી શકે છે. જેમાં થોડા મહિના અગાઉની ઘટનાઓ પણ સામેલ છે. ભારત અલ્ઝાઇમર્સ સામે સંઘર્ષ કરી રહ્યો છે અને આ સમસ્યા જળવાઈ રહે એવી શક્યતા છે, કારણ કે દેશમાં વયોવૃદ્ધોની વસ્તીમાં વધારો થવાની શરૂઆત થઈ છે. બહુ ઓછા પ્રમાણમાં દર્દીઓ ઔપચારિક રીતે નિદાન કરાવે છે કે સારવાર લે છે. અત્યારે પણ ઘણા લોકો ઉંમર વધવાની સાથે કુદરતી રીતે યાદશક્તિ ઓછી થાય કે ભૂલી જવાય એવું માને છે તથા અલ્ઝાઇમર્સનાં ચિહ્નોની અવગણના કરે છે.
ડિમેન્શિયાનું સ્વરૂપ છે અલ્ઝાઇમર
સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાનું સ્વરૂપ છે, જેની અસર યાદશક્તિ, વર્તણૂક અને વિચારસરણી પર થાય છે. અલ્ઝાઇમર્સનો રોગ ડિમેન્શિયાના મોટા ભાગના કેસોમાં થાય છે. સામાન્ય રીતે આ બીમારી 60 વર્ષથી વધારે વયના લોકોમાં થાય છે, છતાં આ 40થી 60 વર્ષ વચ્ચે પણ થઈ શકે છે.
અલ્ઝાઇમર્સનાં લક્ષણો
કાર્યક્ષમતા અને કામગીરીના અગાઉના સ્તરમાં ઘટાડો થવો.
યાદશક્તિનો નાશ ઊડીને આંખે વળગે છે, ખાસ કરીને શીખવાના ક્ષેત્રમાં અને નવી માહિતી યાદ કરવાના કિસ્સામાં.
ભાષાની સમસ્યાઓ, જેમાં વ્યક્તિને ચોક્કસ શબ્દો શોધવામાં મુશ્કેલી પડે છે.
ચીજવસ્તુઓ અને ચહેરો ઓળખવાની ક્ષમતાનો અભાવ.
શબ્દો વાંચવામાં મુશ્કેલી (એલેક્સિયા).
કોઈ પણ કારણ વિના નિર્ણય લેવામાં અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતામાં પાછળના તબક્કે ઘટાડો થાય છે.
અલ્ઝાઇમર્સની સારવાર
અત્યારે અલ્ઝાઇમર્સના રોગની શરૂઆતનું નિદાન કે ઓળખ કરવાનું કોઈ ચોક્કસ પરીક્ષણ નથી. દર્દીનાં લક્ષણોને આધારે ડૉક્ટર નિર્ણય લેશે અને માહિતી આપશે. ડૉક્ટર્સ લગભગ નક્કી કરી શકે છે કે, તમને ડિમેન્શિયા છે કે નહીં તથા અલ્ઝાઇમર્સના રોગને કારણે તમને ડિમેન્શિયા છે કે નહીં એની ઓળખ કરી શકે છે.