હિંદૂ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું ખાસ મહત્વ હોય છે. શુભ કામ કરવા માટે પણ આ દિવસને ખાસ ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે નવુ વાહન, નવુ ઘર અને સોનું ખરીદવાથી પરિવારના લોકો પર મા લક્ષ્મીની કૃપા વરસતી રહે છે. પરંતુ કેટલીક બાબતો એવી પણ છે જેનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. જો અખાત્રીજના દિવસે આ ભૂલ થાય તો મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે.
અક્ષય તૃતીયાના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે આ દિવસે દાન કરનારી વ્યકિતને દાનમાં આપવા માટેની વસ્તુનુ વિશેષ ધ્યાન રાખવુ જોઇએ. આમ ન કરવા પર વ્યક્તિને શુભ ફળ મળવાની જગ્યાએ અશુભ ફળ મળે છે. . આ દિવસને લઈને એવી માન્યતા છે કે આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન અને ભોજન કરાવવાથી વ્યકિતને શુભ ફળ મળે છે.
અખાત્રીજના દિવસે કોઈ પણ વ્યક્તિના પ્રત્યે મનમાં રોષ ન રાખો. જો આ દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધના કર્યા બાદ કોઇ વ્યકિત પોતાના મનમાં બીજા માટે ખરાબ ભાવના રાખે છે. તો મા લક્ષ્મી તેના ઘરમાં વાસ કરતી નથી.
અક્ષય તૃતીયાના દિવસે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે સોનામાંથી બનેલી કોઈપણ વસ્તુ જરુર ખરીદો. આ દિવસે ખાલી હાથે ઘરે જવું શુભ ગણાતુ નથી. જો તમે સોનું ન ખરીદી શકતા હો તો ક્ષમતાનુસાર કોઈ પણ ધાતુમાંથી બનેલી વસ્તુ ખરીદી શકો છો.
અખાત્રીજના દિવસે લક્ષ્મી પૂજનની સાથે-સાથે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુની પૂજામાં પ્રસાદની સાથે તુલસીનો ઉપયોગ કરો. તે વાતનું ધ્યાન રાખો કે પૂજામાં ચડાવવા માટે તુલસીના પાન સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેર્યા પછી જ તોડવા. નહીં તો પૂજા કરવા છતાં વ્યકિતને અશુભ ફળ મળે છે.
સમૃદ્ધિ અને સૌભાગ્યની ઈચ્છા રાખનારા વ્યક્તિએ અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અલગ-અલગ પૂજા ન કરવી જોઈએ. એવુ એટલા માટે કે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી પતિ-પત્ની છે. આ દિવસે એકસાથે પૂજા કરવા પર જ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.