AIMIM બાપુનગરના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણએ ફોર્મ પરત ખેંચી કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.
ગુજરાતમાં AIMIMના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેચ્યું
AIMIM બાપુનગરના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું
ફોર્મ પરત લઇને કોંગ્રેસના ઉમેદવારને ટેકો કર્યો જાહેર
ગુજરાત ચુંટણીનો દમદાર માહોલ જામ્યો છે. દરેક પાર્ટીના આગેવાનો પોતાની સરકાર રચાતી હોવાના દાવા કરી રહ્યા છે અને મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં મતદાન પહેલા જ AIMIMના ઉમેદવારે 'હથિયાર હેઠા મૂકી દીધા હોય તેમ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. AIMIM બાપુનગરના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. ગુજરાતમાં AIMIMના ઉમેદવાર શાહનવાઝ ખાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજા છે. જેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી અને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.
વિધાનસભાની ચૂંટણી માટે AIMIMએ બનાવ્યો માસ્ટરપ્લાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. AIMIM પાર્ટી તેલંગાણાથી નીકળીને વિસ્તરી રહી છે. ગુજરાતના મુસ્લિમ અને દલિત મતદારો પર પાર્ટીની નજર છે, આ માટે પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ 'માસ્ટર પ્લાન' બનાવ્યો છે.
શું છે માસ્ટર પ્લાન?
વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીને આડે બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટર પ્લાન મુજબ, AIMIM 15 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે, પાર્ટીએ ચૂંટણી માટે 20 લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે, જે દિવસ-રાત પ્રચારમાં લાગેલી છે. ગુજરાતમાં પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.
AIMIMએ અમદાવાદની 5 સીટો પર ઉતાર્યા હતા ઉમેદવાર
AIMIMએ અમદાવાદમાં પાંચ ઉમેદવારોને ઉતાર્યા છે. પાર્ટીએ અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે. ખાડિયા-જમાલપુર બેઠક પરથી સાબિર કાબલીવાલા, દરિયાપુર બેઠક પરથી હસનખાન પઠાણ, વેજલપુર બેઠક પર ઝૈનાબીબી શેખને ટિકિટ અપાઈ છે. જોકે બાપુનગર બેઠક પરથી શાહનવાઝખાન પઠાણ (સિબુભાઈ)ને ટિકિટ અપાઈ હતી. તેમણે ફોમપ પરત ખેંચી લીધૂ છે હવે અમદાવાદની 4 સીટો પર ઉમેદવાર મેદાને છે.