ત્રણ તલાક બીલ પાસ થયાના બીજા જ દિવસે અમદાવાદમાંથી ચોંકાનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં પતિએ તલાકની ધમકી આપતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પતિએ ઘરના EMI માટે મહિલા પાસે પૈસાની માગ કરી હતી. મહિલાનો આક્ષેપ છે કે, પતિ તલાકની ધમકી આપી અને પૈસાની માગ કરતો હતો. ત્યારે પતિના ત્રાસના કારણે મહિલાએ અંતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો પોલીસનું કહેવું છે કે, પતિએ તલાક આપવા માટે માત્ર ધમકી આપી હતી. હાલ મામલાને લઇ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યસભામાં મંગળવારે ત્રણ તલાક બીલ પાસ થઇ ગયું છે. હવે ત્રણ તલાક આપવો દેશમાં ગુનો સાબિત થશે. પરંતુ બીલ પાસ થયાના બીજા દિવસે એટલે આજે પતિએ પોતાની પત્નીને ત્રણ તલાકની ધમકી પરિણીતાએ આત્મહત્યાની કોશિશ કરી છે.
આત્યારે મહિલાની હાલત ગંભીર છે, તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે મહિલાઓ પોતાના પતિ અને સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઇએ કે, મુસ્લિમ મહિલાઓને એકીસાથે ત્રણ તલાક આપવાને ગુનો જાહેર કરતો ઐતિહાસિક ખરડો ગઇકાલે રાજ્યસભામાં પસાર થયો છે. પહેલા લોકસભા અને હવે રાજ્યસભામાં પસાર થયેલા મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) ખરડો હવે રાષ્ટ્રપતિના દરબારમાં જશે, રાષ્ટ્રપતિને મંજૂરી મળ્યા બાદ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. સંસદના બન્ને ગૃહોમાં પસાર થયા બાદ હવે ત્રણ તલાક ગેરકાનૂની ગણાશે તથા દોષીને ૩ વર્ષની સજા થશે સાથે સાથે પીડિત મહિલાઓ પોતાના અને સગીર સંતાનો માટે ખોરાકી માગી શકશે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા રજૂ કરવામાં આવેલા આ ખરડાની તરફેણમાં ૯૯ તો વિરૂદ્ધમાં ૮૪ વોટ પડયાં. બસપા, પીડીપી, ટીઆરએસ, જેડીયુ, એઆઈએડીએમકે અને ટીડીપી જેવા ઘણા પક્ષોએ વોટિંગમાં ભાગ ન લેતા સરકાર માટે આ ખરડો પસાર કરાવવાનું સરળ બન્યું. ખરડામાં ૩ વર્ષની સજાની જોગવાઈનો કોંગ્રેસ વિરોધ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે ૩ વર્ષની સજાની જોગવાઈ યોગ્ય નથી તેથી આ ખરડાને સિલેક્ટ કમિટિ સમક્ષ મોકલવાની અમારી માગ છે જોકે ખરડાને સિલેક્ટ કમિટિ પાસે મોકલવાનો પ્રસ્તાવ ૮૪ ની વિરૂદ્ધ ૧૦૦ વોટથી રદબાતલ ઠર્યો હતો.