તમારા શેઠને કહી દેજો કે પચાસ લાખ રૂપિયા મોકલાવી દે તો જ ઓફિસનો કબજો મળશે તેવી ધમકી આપીને ખંડણી માગતી ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઇ છે. સ્ટેડિયમ પાંચ રસ્તા પર આવેલી બેકબોન પ્રોજેક્ટ કંપનીના ડાયરેકટર પાસે બનાસકાંઠામાં રહેતા રઘુ રબારીના માણસોએ પચાસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. રૂપિયા નહીં આપતાં રઘુ રબારીના ઇશારે ચાર યુવકોએ ડાયરેક્ટરની ઓફિસમાં જઇને કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી અને બળજબરીપૂર્વક ઓફિસ ખાલી કરાવીને કબજો મેળવી લીધો હતો.
ખાનગી કંપનીના ડિરેક્ટરની ઓફિસમાં ઘૂસી જઈને માથાભારે શખસોએ મારપીટ કરી
ખંડણી માગવા બદલ સાબરકાંઠાના રઘુ દેસાઈ અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો
મેમનગર વિસ્તારમાં આવેલ નીલમણિ એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઇ ચાડમિયાએ ક્રાઇમ બ્રાંચમાં છ લોકો વિરુદ્ધમાં ૫૦ લાખની ખંડણીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા વસંતભાઇ નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલ કુમુદ એપાર્ટમેન્ટની ઓફિસ નં 7માં બેકબોન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બેકબોન પ્રોજેક્ટ કંપનીના ડાયરેક્ટર જ્યંતીભાઇ જાકસણિયા છે. વીરેન્દ્રભાઇ ત્રિવેદી, નરેશભાઇ સોલંકી, રાજુભાઇ રાઠોડ અને મહેશભાઇ પરમાર કંપનીમાં નોકરી કરે છે. જાન્યુઆરી મહિનામાં વસંતભાઇ ઓફિસ પર હાજર હતા ત્યારે બપોરે ચાર શખ્સો આવ્યા અને જેમ તેમ બોલીને ઓફિસ માથે લીધી હતી.
રૂપિયા કેમ નથી આપતા તેમ કહીને બબાલ કરી
ચારેય શખ્સોએ બૂમો પાડીને વસંતભાઇ તેમજ અન્ય કર્મચારીઓને જણાવ્યું હતુંકે તમારા શેઠ જયંતીભાઇ જાકાસણિયાએ મારા ઓળખીતા રઘુભાઇને રૂપિયા નીકળતા હોય તે વસૂલ કરવા માટે મોકલ્યા છે. જેથી તમારા શેઠ સાથે વાત કરાવો અથવા તો તેમનો નંબર આપો. ચાર શખ્સો પૈકી એકનું નામ દેવુ રબારી હતું. જેણે પોતાનો નંબર વસંતભાઇને આપ્યો હતો. દેવુએ વસંતભાઇને કહ્યું હતું કે શેઠ આવે તો ફોન પર વાત કરાવજો તેમ કહીને નીકળી ગયો હતો. ફેબ્રુઆરી મહિનામાં પણ દેવુ રબારી તેના સાગરીતો સાથે ઓફિસ પર આવ્યો હતો અને વસંતભાઇ તેમજ ઓફિસના અન્ય કર્મચારીઓ સાથે બીભસ્ત વર્તન કરીને ગાળાગાળી કરી હતી અને તમારા શેઠ રઘુભાઇના રૂપિયા કેમ નથી આપતા તેમ કહીને બબાલ કરી હતી અને તેમને જોઇ લેવાની ધમકી આપીને જતા રહ્યા હતા.
બે યુવકોએ ઓફિસમાં આવીને આપી ધમકી
તારીખ 11 માર્ચના રોજ બે યુવકો ઓફિસમાં આવ્યા હતા અને વસંતભાઇને ધમકી આપી હતી કે જયંતીભાઇ કાલ સુધીમાં રઘુભાઇના રૂપિયા નહીં આપે તો તેની ઓફિસમાં તોડફોડ કરી બધાને જાનથી મારી નાખીશું. બંને યુવકો એક બીજાને ભાવેશ અને વિપુલના નામથી બોલાવતા હતા. 12 માર્ચના રોજ વસંતભાઇ તેમજ વીરેન્દ્રભાઇ નરેશભાઇ સોલંકી, રાજુભાઇ રાઠોડ અને મહેશભાઇ પરમાર ઓફિસમાં હાજર હતા ત્યારે વિપુલ, ભાવેશ તેમજ અન્ય બે યુવકો તમારા શેઠ ક્યાં છે તેમ કહીને બળજબરીપૂર્વક ઓફિસમાં ધૂસી ગયા હતા અને ઓફિસ કેમ ખોલી છે તેમ જણાવીને તમામને ગડદાપાટુંનો માર માર્યો હતો.
ચારેય યુવકો પચાસ લાખની ખંડણી માગીને જતા રહ્યા
તમામને ઓફિસની બહાર કાઢી મૂકીને ગેરકાયદે રીતે ઓફિસ બંધ કરીને તાળું મારી દીધું હતું અને વસંતભાઇને ધમકી આપી હતી કે તમારા શેઠને કહી દેજો કે પચાસ લાખ રૂપિયા મોકલાવી દે તો જ ઓફિસનો કબજો મળશે. અને ફરીથી કોઇ અહીં આવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ચારેય યુવકો પચાસ લાખની ખંડણી માગીને જતા રહ્યા હતા જેથી વસંતભાઇએ આ વાતની જાણ જયંતીભાઇને કહી હતી. જયંતીભાઇએ આ મામલે વસંતભાઇને ફરિયાદ કરવા માટેનું સૂચન કર્યું હતું. જેથી વસંતભાઇએ ક્રાઇમ બ્રાંચમાં પચાસ લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ કરી છે. ક્રાઇમ બ્રાંચે રઘુ રબારી, દેવુ રબારી, વિપુલ, ભાવેશ તેમજ અન્ય બે શખ્સો વિરુદ્ધમાં ખંડણી તેમજ ઓફિસ પર ગેરકાયદે કબજો કરીને માર મારવાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.