મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વી.એસ. હોસ્પિટલના પ્રાંગણમાં રૂા. 750 કરોડના ખર્ચે અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ ( SVP Hospital ) બનાવાઇ છે. આ હોસ્પિટલ તેના લોકાર્પણ બાદથી સતત એક યા બીજા વિવાદમાં સપડાઇ રહી છે. અગાઉ આ હોસ્પિટલ પાણી લીકેજ, યુટીલિટી બિલ્ડિંગમાં પીઓપીની છત તૂટી પડવી, સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી, હોસ્પિટલના મૂળ ટેન્ડરને રિવાઇઝડ કરી રૂા. 40 કરોડનો વધારો કરવો વગેરે મામલે વિવાદાસ્પદ બની ચૂકી છે હવે દવાનાં ધાંધિયાંનો નવો વિવાદ ઊભો થયો છે.
SVP હોસ્પિટલમાં એપોલો ફાર્મસીની મોનોપોલીથી દવા માટે દર્દીઓ પરેશાન
જેનરિક સ્ટોર પણ થોડા કલાક માટે જ ખૂલે છે
હવે ૧ ડિસેમ્બરથી ૨૪ કલાક ખુલ્લો રહેશે તેવો તંત્રનો દાવો
આ હોસ્પિટલનના દર્દીઓને દવા મેળવવા અગાઉ એપોલો ફાર્મસીનો એકમાત્ર વિકલ્પ હતો. એપોલો ફાર્મસી સામે અનેક પ્રકારના વિવાદ સર્જાયા છે. દર્દીઓનાં સગાં-સંબંધી સાથે બિલના મામલે છેતરપિંડી, બિનઅનુભવી સ્ટાફ, દર્દીઓનાં સગાં-સંબંધી સાથે ખરાબ વર્તાવ, તંત્ર સાથે આવકમાં શેરિંગની શરત ન પાળવી જેવી બાબતોમાં ઓપોલો ફાર્મસીને સત્તાવાળાઓએ નોટિસ ફટકારી ચૂક્યા છે તેમજ લાખો રૂપિયાની પેનલ્ટી વસૂલવાની પણ કામગીરી હાથ ધરાઇ છે.
જેનરિક દવાનો સ્ટોર્સ પણ 24 કલાક ખુલ્લો રહેશે
SVP હોસ્પિટલના દર્દીઓને અત્યારે જેનરિક દવાનો સ્ટોર ખૂલી જતાં બીજો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. પરંતુ આ સ્ટોર 24 કલાક ધમધમતો ન હોઇ ઇન્ડોર પેશન્ટ હેરાનગતિ ભોગવે છે. આ અંગે હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને પૂછતા કહે છે, આગામી 1 ડિસે.થી જેનરિક દવાનો સ્ટોર 24 કલાક ધમધમશે. આ માટેની રાજ્ય સરકારની મંજૂરી મળી ગઇ છે.
રોજના 900 થી 1000 ઓપીડી પેશન્ટ
SVP હોસ્પિટલમાં દરરોજ 900 થી 1000 ઓપીડી પેશન્ટ નોંધાય છે. જેમાં લગભગ 40 ટકા પેશન્ટ 'મા કાર્ડ' હોલ્ડર છે. દરમ્યાન SVP હોસ્પિટલમાં રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક મહિલા દર્દીની સારવારમાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે કર્યા છે.
અધિકારીઓ એક બીજા પર ઢોળે છે દોષનો ટોપલો
આ પેશન્ટ મા કાર્ડ હોલ્ડર હોવા છતાં ઓપીડી ( OPD ) બેઇઝની ટ્રીટમેન્ટથી એપોલો ફાર્મસીથી રૂ.રર હજારની દવા ખરીદવી પડી તે અંગે SVP હોસ્પિટલ ના એક ઉચ્ચ અધિકારીને પૂછતાં તેઓ કહે છે, રાતના સમયે ઇમરજન્સી કેસ નોંધાય છે, કોઇ OPD કેસ લેવાતા નથી ઉપરાંત દર્દીના સગાં-સંબંધીઓએ અકસ્માત વીમાનો કે 'મા કાર્ડ'નો લાભ લેવો તેનો નિર્ણય કરવામાં વિલંબ કરતાં આમાં દોષનો ટોપલો તંત્ર પર ઢોળી દેવાય છે.