રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અને મૃત્યુ અમદાવાદમાં નોંધાયા હતા. કોરોનાએ અમદાવાદ શહેરને હચમચાવી દીધું હતું. તેવામાં હવે અમદાવાદમાં કોરોનાને લઇને સારા સમાચાર આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ જણાવ્યું કે હાલ સ્થિતિ કાબુમાં છે તથા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો છે. દર્દી ઓછા થશે તો 1200 બેડની કોવિડ હોસ્પિટલ બંધ કરવાનું પણ તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલીશું.
અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ?
મંગળવારે અમદાવાદ શહેરમાં 88 અને ગ્રામ્યમાં 1 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં 157 અને ગ્રામ્યમાં 3 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 27 જાન્યુઆરીની છેલ્લી કોરોના અપડેટ અનુસાર, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 53245 દર્દીઓ સાજા થયા, તો 2236 દર્દીઓના મોત થયા. જેથી હાલ કુલ 1212 એક્ટિવ કેસ છે. શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં 784 બેડ ખાલી છે. તો AMC માટેની ખાનગી હોસ્પિટલોમાં કુલ 1005150 બેડ ઉપલબ્ધ છે.
કોઈ પણ કર્મચારીઓને હજી સુધી કોઈ આડઅસર નહીં
અમદાવાદના સોલા સિવિલ ખાતે આજે વેક્સિનેશનનો આઠમો દિવસ છે. વેક્સિનેશનની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે. હજુ સુધી વેક્સિન લેનાર કોઈ પણ કર્મચારીમાં કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. કર્મચારીઓમાં વિશ્વાસ પેદા થાય તે માટે પહેલા દિવસે વેક્સિન લેનાર કર્મચારી પણ વેક્સિનેશન સેન્ટર પર ઉપસ્થિત રહ્યા હતા.