મેગા સિટી અમદાવાદ ગુજરાતનું રાજકીય પાટનગર તો છે. આની સાથે-સાથે આર્થિક પાટનગર પણ છે. સંપન્ન અને સુખી અમદાવાદથી ગુજરાતભરનાં નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં સમૃદ્ધિના વાયરા વાય છે. રાજ્યના હૃદય સમાન અમદાવાદની ધડકનના આરોહ-અવરોહના પડઘા સમગ્ર રાજ્યમાં ગુંજે છે. કમનસીબે કોરોના મહામારીના પગલે અમદાવાદ ‘માંદું’ પડ્યું છે. એક પછી એક ચાર લોકડાઉનના કારણે અનલોક-૩ તરફ આગળ વધતા આ શહેરની આર્થિક રીતે એટલી કફોડી હાલત થઇ છે કે રાજ્ય સરકારની કોમર્શિયલ મિલકતના પ્રોપર્ટી ટેકસમાં ર૦ ટકા જેટલા જંગી ડિસ્કાઉન્ટની જાહેરાત બાદ પણ સખાવતી શ્રેષ્ઠીઓ અને મહાજનોના મહાનગર તરીકે દેશભરમાં પ્રસિદ્ધ ‘રાજનગર’ એટલે કે અમદાવાદમાં માત્ર અને માત્ર રપ ટકા વેપારી અને બિઝનેસમેન પ્રોપર્ટી ટેકસમાં ‘આત્મનિર્ભર’ બન્યા છે. આ બાબત કોરોનાના પ્રકોપથી શહેર પર પડેલો પ્રચંડ ફટકો જ છે.
અમદાવાદ શહેર તેની નવી વિશિષ્ટતા માટે પણ હવે જાણીતું બન્યું. હવેની યુવા પેઢી રૂપિયા કમાઇ જાણે છે તો ખર્ચી પણ જાણતી હોઇ આ શહેર મોજીલું બન્યું છે, જોકે કોરોનાથી તમામ લોકોના ચહેરાની ચમક ફિક્કી પડી છે. વેપારીઆલમના ધંધા-રોજગાર ઠપ થઇ ગયા છે. દુકાન કે ઓફિસનાં ભાડાં ભરવા જેટલો વેપાર દિવસભરમાં થતો નથી. વર્ષોથી કામકાજમાં સંકળાયેલા સંનિષ્ઠ કર્મચારીઓનો દર મહિને પગાર કાઢવો પડકારરૂપ બન્યો છે એટલે નાછૂટકે છટણીની ગિલોટીનનો ઉપયોગ થઇ રહ્યો છે.
નાના કહો કે મોટા વેપારી-બિઝનેસમેનના ધંધા-રોજગાર ‘તળિયે’ બેેેસી ગયા હોઇ રાજ્ય સરકારની કોમર્શિયલ મિલકતમાં ર૦ ટકા ડિસ્કાઉન્ટની સ્કીમનો ફિયાસ્કો થયો છે. આ યોજના આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી ચાલશે ખરી, પરંતુ મ્યુનિ. તંત્રના રૂ.૮૦૦ કરોડની આવક મેળવવાના લક્ષ્યાંક સામે માંડ રૂ.ર૦૦ કરોડની આવક થઇ છે. વેપારીઆલમ પાસે ર૦ ટકા ડિસ્કાઉન્ટ ઉપરાંત મ્યુનિ. તંત્રના એડ્વાન્સ ટેક્સ યોજનાના ૧૦ ટકા મળીને કુલ ૩૦ ટકા ડિસ્કાઉન્ટ લેવા નાણાં ન હોઇ મ્યુુનિ. આવકનો કૂવો ખાલીખમ જ છે.
મ્યુનિ. પ્રોપર્ટી ટેકસની આવકના આંકડા તપાસતાં ગત તા.૧ એપ્રિલ, ર૦ર૦થી ગત તા.ર૮ જુલાઇ, ર૦ર૦ સુધીમાં કુલ ૪,રર,૩૬૭ કરદાતાઓએ પોતાનો પ્રોપર્ટી ટેક્સ ભરતાં મ્યુનિ. તિજોરીને માત્ર રૂ.૩૭ર.૦૮ કરોડની આવક થઇ છે. આ આવક મેળવવામાં મ્યુનિ. કોર્પોરેશનની ચાલુ વર્ષનાે પ્રોપર્ટી ટેકસ ‘એડ્વાન્સ’માં ભરનાર કરદાતાઓને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતના ટેક્સબિલમાં મળતું ૧૦ ટકાનું ‘ડિસ્કાઉન્ટ’ પણ આવી જાય છે! કોરોનારૂપી રાક્ષસથી શહેરની અર્થવ્યવસ્થાને પહોંચેલા નુકસાનની ગવાહી ગત તા.૧ જુલાઇ, ર૦૧૯થી ગત તા.ર૭ જુલાઇ, ર૦૧૯ સુધીના આવકના આંકડા આપી રહ્યા છે. તે સમયે તંત્રને રૂ.પ૧૩.૮૬ કરોડની આવક થઇ હતી.
જ્યારે હવે આટલા સમયગાળામાં રાજ્ય સરકારની કોમર્શિયલ મિલકતમાં આત્મનિર્ભર યોજનાના ર૦ ટકા અને મ્યુનિ. તંત્રની એડ્વાન્સ ટેકસ રિબેટ યોજનાના ૧૦ ટકા મળીને કુલ ૩૦ ટકાનું જંગી ડિસ્કાઉન્ટ વેપારી તેમજ બિઝનેસમેનને મળતું હોવા છતાં ફકત રૂ.૩૮૦.૮૮ કરોડ મળ્યા છે એટલે કે તંત્રની આવકમાં ચોખ્ખું રૂ.૧ર૮.૯૮ કરોડનું ગાબડું પડ્યું છે, જે રપ ટકાથી પણ વધારે છે. પ્રોફેશનલ ટેકસમાં પણ ગત વર્ષના ચાર મહિનામાં થયેલી આવક રૂ.પ૭.રપ કરોડની આવક કરતાં રર ટકા ઓછી એટલે કે રૂ.૧ર.૮૬ કરોડની આવકમાં ઘટ થઇ છે! વિહિકલ ટેકસમાં તો માત્ર રૂ.૯.ર૯ કરોડની આવક થતાં તેનો ૬૪ ટકાનો જંગી ઘટાડો દર્શાવે છે.
બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડ્વાન્સ પ્રોપર્ટી ટેકસ રિબેટ યોજનાના હવે છેલ્લા ત્રણ દિવસ રહ્યા છે એટલે આગામી તા.૧ ઓગસ્ટથી વેપારીઆલમને કોમર્શિયલ મિલકતમાં મળતું ૧૦ ટકાનું રિબેટ પણ મળતું બંધ થઇ જશે. બીજા અર્થમાં કોરોનાથી ભારે કફોડી હાલતમાં મુકાયેલા વેપારીઓને પડતા પર પાટુ જેવું થશે, જોકે શાસક ભાજપ પક્ષની વેપારીઓના પક્ષ તરીકેની જનમાનસમાં છાપ અંકિત થઇ હોઇ શાસકો એડ્વાન્સ ટેકસ યોજનાની મુદતને પણ રાજ્ય સરકારની આત્મનિર્ભર યોજનાની જેમ આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી લંબાવે છે કે કેમ? તેના પર સૌની મીટ મંડાઇ છે. અત્યારે તો શાસક પક્ષને મ્યુનિ. તિજોરીને ટેકસનાં નાણાંથી ભરવામાં જ એકમાત્ર રસ હોઇ આ એડ્વાન્સ ટેકસ યોજનાને લંબાવવાનું ચિત્ર સ્પષ્ટ થતું નથી, જોકે મ્યુનિ. ભાજપમાં એડ્વાન્સ ટેકસની મુદત લંબાવવાનો છૂપો ગણગણાટ તો ફેલાયો જ છે, જેના કારણે ચૂંટણીનું વર્ષ હોઇ શાસકો ખાલી-બંધની જેમ એડ્વાન્સ ટેક્સ યોજનામાં પણ લોકપ્રિય નિર્ણય લઇ શકે છે.