મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને જાહેર પરિવહન ક્ષેત્રમાં દાયકાઓ જૂની એએમટીએસ (લાલ બસ)ની સેવા પૂરી પાડવા ઉપરાંત 2009થી બીઆરટીએસની સુવિધા અપાઇ રહી છે. અત્યારે બીઆરટીએસની કુલ 226 બસ રોડ પર દોડી રહી છે. પરંતુ આગામી જાન્યુઆરી ર૦ર૧ સુધીમાં શહેરમાં બીઆરટીએસની કુલ 900 બસ રોડ પર દોડતી થઇ જશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય
2021 સુધીમાં 900 BRTS બસ દોડશે
650 ઈલેક્ટ્રિક બસ ખરીદવાના ચક્રો ગતિમાન
સત્તાવાળાઓ બીઆરટીએસ બસના કાફલાને વધુ મજબૂત કરવા પણ પ્રયત્નશીલ છે. અત્યારે બીઆરટીએસ પાસે કુલ ર૩૬ બસનો કાફલો છે અને દરરોજ સરેરાશ રર૬ બસ રોડ પર મુકાઇ રહી છે. આ તમામ બસ ડિઝલ અથવા સીએનજી ચાલિત છે.
650 ઈલેક્ટ્રિક બસ ખરીદવાના ચક્રો ગતિમાન
હવે વધુ 650 ઈલેક્ટ્રિક બસ ખરીદવાના ચક્રો ગતિમાન કરાયાં છે. બીઆરટીએસ માટે અશોક લેલેન્ડની 50 ઈલેક્ટ્રિક બસ પ્રારંભના તબક્કામાં આવી રહી છે. કેમ કે તંત્ર દ્વારા સૌથી પહેલાં અશોક લેલેન્ડને 50 ઈલેક્ટ્રિક બસનો ઓર્ડર અપાયો હતો જોકે અશોક લેલેન્ડની ઈલેક્ટ્રિક બસ મેળવવા માટે લાંબો વિલંબ થયો હોઇ અત્યાર સુધી માત્ર 18 બસ મળી છે. જોકે આ મહિનાના અંત સુધીમાં કે જાન્યુઆરી-2020ના પહેલા અઠવાડિયામાં તમામ 50 બસ મળી જશે.
જ્યારે અશોક લેલેન્ડ બાદ ટાટા મોટર્સને કુલ 300 ઈલેક્ટ્રિક બસનો કોન્ટ્રાકટ અપાયો હતો. ટાટા મોટર્સ દ્વારા આગામી માર્ચ-ર૦ર૦ સુધીમાં પહેલા તબક્કામાં ૧૦૦ ઈલેક્ટ્રિક બસ મળશે. ત્યારબાદ મે-2020માં ટાટાની વધુ 100 બસ અને સપ્ટે.-ર૦ર૦ સુધીમાં છેલ્લા તબક્કામાં વધુ ૧૦૦ બસ મળીને કુલ ૩૦૦ બસ બીઆરટીએસના બસના કાફલામાં જોડાઇ જશે.
300 ઈલેક્ટ્રિક બસનો કોન્ટ્રાકટ અપાયો
તાજેતરમાં બીઆરટીએસના સત્તાવાળાઓએ વધુ ૩૦૦ ઈલેક્ટ્રિક બસનો કોન્ટ્રાકટ આપ્યો છે. નવી ૩૦૦ ઈલેક્ટ્રિક બસ માટે કેન્દ્ર સરકાર દશ વર્ષ માટે પ્રતિ બસ રૂ.45 લાખની સબસિડી આપનાર હોઇ કોઇ વિવાદ ઊઠ્યો નથી. એક ઈલેટ્રિક બસની કિંમત રૂ.1.25 કરોડ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇકો ફ્રેન્ડલી વિહિકલને પ્રોત્સાહન આપવા નવી ૩૦૦ ઈલેક્ટ્રિક બસ બસને સબસિડી આપવાની હોઇ તે મેળવવા માટેનું શેડ્યુલ પણ નક્કી કરાયું છે.
તબક્કા વાર થશે ફાળવણી
આ ૩૦૦ બસ પૈકી 180 બસ JBM ઓટો અને 120 બસ ટાટા મોટર્સ આપશે. સપ્ટે.-ર૦ર૦માં જેબીએમ પહેલા તબક્કામાં ૧૦૦ બસ અને ડિસે.-ર૦ર૦માં બીજા તબકકામાં 80 બસ મળીને કુલ 180 બસ રોડ પર મૂકશે. જ્યારે જાન્યુઆરી-2021 સુધીમાં ટાટાની તમામ ૧ર૦ બસ આવી જશે. આગામી વર્ષ દરમ્યાન અત્યારની 226 ડીઝલ-સીએનજી બસ પૈકી કુલ 26 બસને સ્ક્રેપ કરાશે. એટલે એક વર્ષમાં બીઆરટીએસની લગભગ 900 બસ રોડ પર દોડતી થશે. બીઆરટીએસ બસના કાફલામાં ક્રમશઃ વૃદ્ધિ થવાથી તેની ફ્રિકવન્સી અને નવા રૂટમાં વધારો થશે. જેના કારણે દર ત્રણ મિનિટે પેસેન્જરને બસ મળશે તેમ જ ભાડજથી એસપી રીંગ રોડ જેવા નવા રૂટમાં બીઆરટીએસ બસ દોડશે.