સદીઓથી આપણે સાંભળતા આવ્યાં છીએ કે ઈશ્વરનાં દર્શન કરવા માટે ભૌતિક આંખો નહીં પણ અંતરચક્ષુ ખૂલ્લાં હોવા જોઈએ. પણ વાત જ્યારે તેનો અમલ કરવાની આવે છે, ત્યારે મોટાભાગનાં લોકો પાછાં પડી જતાં હોય છે. બહુમતિ લોકોનું કહેવું હોય છે કે પ્રજ્ઞાચક્ષુને ભગવાનનાં દર્શન કેવાં? વળી તેમને સાચવીને આખાં પ્રવાસ દરમિયાન ફેરવે કોણ?
અમદાવાદના શખ્સની અનોખી સેવા
55 દિવ્યાંગોને કરાવી યાત્રા
જો કે અમદાવાદનાં શ્રેયસ ટેકરાં વિસ્તારમાં રહેતાં દિનેશભાઈ બહલ આ દલીલનો સજ્જજ જવાબ બનીને આવ્યાં છે. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી દિવ્યાંગ બાળકોને જુદાજુદા મંદિરોમાં દર્શન માટે લઈ જાય છે. આ વર્ષે હાલમાં જ તેઓ 55 જેટલાં દિવ્યાંગોને રામેશ્વર અને તિરૂપતિનાં દર્શને લઈ ગયાં હતાં.
જરૂર પડ્યે દાતા શોધીને પણ કરાવે છે પ્રવાસ
પોતાનાં આ સેવાકાર્ય વિશે દિનેશભાઈ કહે છે, ‘આ વર્ષે 28 દિવ્યાંગ, 20 પ્રજ્ઞાચક્ષુ અને 8 બહેરાંમૂંગા બાળકોને રામેશ્વર તથા તિરૂપતિ લઈ ગયો હતો. ત્રણ વર્ષ વૈષ્ણોદેવીનાં દર્શને લઈ ગયો હતો. આ માટેની તમામ વ્યવસ્થા હું જાતે જ કરું છું. જરૂર પડ્યે દાતા શોધીને પણ બાળકોને પ્રવાસ કરાવું છું. આ વખતે કિશોરભાઈ ટેકવાણી નામનાં સદ્દગૃહસ્થની મદદથી મારું કાર્ય પુરું થયું હતું.
તિરૂપતિ મંદિરે કરી આપી સગવડ
હું માનું છું કે ઈશ્વરનાં દર્શન કરવા માટે સ્થૂળ આંખો નહીં પણ અંતરમનની આંખો અને શ્રદ્ધા હોવી જોઈએ. જે આ બાળકોમાં છે. તેમને મેં સ્પર્શ અને ઈશારાની ભાષામાં રામેશ્વર અને બાલાજીનાં દર્શનનો અહેસાસ કરાવ્યો હતો. બાળકોની શારીરિક તકલીફ સમજીને રામેશ્વર મંદિર ટ્રસ્ટે તેમને એક્ઝિટ ગેટમાંથી પ્રવેશ આપ્યો હતો. તો તિરૂપતિ મંદિરે ઈલેક્ટ્રીક કારની સગવડ કરી આપી હતી.’
સામાન્ય રીતે આ બંને મંદિરોમાં કાયમ દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે, પણ દિનેશભાઈની સેવાની કદરરૂપે મંદિર ટ્રસ્ટે દિવ્યાંગોને દર્શન માટે જગ્યા કરી આપી હતી. આજે ચોતરફ સ્વાર્થનું સામ્રાજ્ય છવાયેલું છે, લોકો સગા માતાપિતાને પણ સાચવતાં નથી, ત્યારે દિનેશભાઈનું આ સેવાકાર્ય અનેકોને નવો રાહ ચિંધે છે. દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો કોઈપણ કામ અશક્ય નથી એવું પણ તેમનાં કિસ્સામાં સાબિત થાય છે.