અમદાવાદ: આપણા ગુજરાતમાં કહેવત છે કે છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ના થાય. પણ ક્યારેક માવતર પણ કમાવતર થાય એવા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી આવ્યો છે. અમદાવાદના ગોતામાંથી એક નવજાત મૃત બાળક મળી આવ્યું છે.
મળતી માહિતી અનુસાર ગોતામાં બાપાસીતારામ ચોક પાસે કચરાપેટીમાં ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકનો મૃતદેહ મળ્યો છે. નવજાત પડ્યું હોવાનું ધ્યાને આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે નવજાત મૃત હાલતમાં છે.
કચરાપેટીમાં મૃત શિશુ પડ્યું હોવાની જાણ થયા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે પોલીસે ઘટના સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે મૃતદેહ કોહવાય ગયો હોવાથી બાળક છે કે બાળકી તે જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.