એક તરફ અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસો ખોટમાં ચાલી રહી છે ત્યારે આજે એએમટીએસ બસના અધિકારીઓએ વધુ એક કૌભાંડ ઝડપ્યું છે. એએમટીએસ બસના કંડકટરે ટિકિટના પૈસા લીધા પછી ટિકિટ ન આપતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
AMTS નું ટિકિટ કૌભાંડ
કંડક્ટરે મુસાફરોના પૈસા લઇને ન આપી ટિકિટ
શહેરના કાલુપુર બસ સ્ટેન્ટથી ખાત્રજ જતી એએમટીએસ બસના કંડકટરે 34 જેટલા મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ ન આપવાનું કૌભાંડ બહાર આવ્યુ છે. એએમટીએસ બસના અધિકારીઓને જાણ થતા સાયન્સ સીટી ખાતે બસને ઉભી રાખી હતી અને ત્યાર બાદ અંદર ચેકીંગ કરતા 34 મુસાફરો પાસેથી ટિકિટ મળી ન હતી.
કંડકટરે ન આપી ટિકિટ
જો કે, મુસાફરો પાસેથી ટિકિટ ન મળતા અધીકારીઓએ મુસાફરોની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે અંદર બેઠેલા તમામ મુસાફરોએ ટિકિટના પૈસા કંડકટરને આપ્યા હતા પરંતુ કંડકટરે તેમને ટિકિટ આપી ન હતી.
ચેકિંગ દરમિયાન કૌભાંડ પ્રકાશમાં આવ્યું
કાલુપુર સ્ટેન્ડથી ખાત્રજ જતી આ બસનો કોન્ટ્રાક્ટ અર્હમ ટ્રાન્સપોર્ટરને આપવામાં આવ્યો છે..એ બસમાં અનિલભાઈ નામના કંટક્ટર ફરજ પર હતા. તેમણે મુસાફરો પાસેથી પૈસા ઊઘરાવી લીધા હતા. કંડક્ટરે 34 મુસાફરો પાસેથી 567 રૂપિયા ઉઘરાવી લીધા હતા. ટિકિટ મશીન બગડી ગયાનું બહાનું કાઢીને પેસેન્જરોને ટિકિટ આપી ન હતી. એએમટીએસના અધિકારીઓના ચેકિંગ દરમિયાન આ કૌભાંડ ધ્યાને આવ્યું હતું.
કંડકટરને કરાયો સસ્પેન્ડ
સઘન ચેકિંગ બાદ બસમાં બેઠેલા તમામ મુસાફરોને બીજી બસમાં મોકલી અપાયા હતા. બસ સાથે કંડકટર તથા ડ્રાઈવરને સારંગપુર બસસ્ટેન્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ધટનાને ગંભીરતાથી લઈ એએમટીએસ ટ્રાન્સપોર્ટ કમીટીએ કંડકટરને તત્કાલીન ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે.
હાલ તો ટ્રાસપોર્ટ કમીટી દ્વારા કંડકટર સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરીયાદ બાદ આ સમગ્ર કૌભાડમાં વધારે ખુલાસા સામે આવશે તેમ લાગી રહ્યુ છે.