પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા રાજ્યના અંદાજે ૧૪ લાખ ખેડૂતોને ઝડપી ડ્રમ અને ટોકર પહોંચાડવા સરકાર કટિબદ્ધ : કૃષિમંત્રી રાઘવજી પટેલ
રાજ્યના અંદાજે 14 લાખ ખેડૂતોને થશે ફાયદો
200 લીટરનું ઝડપી ડ્રમ અને ટોકર પહોંચાડવા સરકાર કટિબદ્ધ: કૃષિમંત્રી
વિધાનસભામાં કોંગ્રેસે સરકારને કર્યો હતો સવાલ
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા ૨૦૦ લીટરનું ડ્રમ અને ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર-ટબની ખરીદી માટે રૂ. ૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતના અંદાજે ૧૪ લાખ ખેડૂતોને ઝડપી ડ્રમ અને ટોકર પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે તેમ આજે વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.
કેટલી અરજીઑ આવી?
મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૫,૧૬૪ જ્યારે કચ્છ જિલ્લામાં ૩૬,૨૧૩ અરજીઓ આવી છે. ગુજરાત એગ્રો દ્વારા આ અંગેની ટેન્ડરની કાર્યવાહી ચાલુ હોય બનતી ત્વરાએ સંપૂર્ણ પારદર્શિતા સાથે આ અરજીઓનો હકારાત્મક નિકાલ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવશે તેમ પણ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું
ગુજરાતમાં ગૌચર જમીનના આંકડા ચોંકાવનારા
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં આજે મોટો ખુલાસો થયો છે કે રાજ્યમાં 2303 ગામમાં ગૌચરની જમીન જ નથી તો તેની સામે રાજ્યના 9029 ગામમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે. તેમાં પણ બનાસકાંઠામાં 1165 ગામમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછા ગૌચરની જમીનની સંખ્યા સૌથી વધુ છે. વલસાડ જિલ્લાના 250 ગામમાં ગૌચર જ નથી. ઉપરોકત વિગત કોંગ્રેસની સંકલિત માહિતી પ્રમાણે રજૂ કરવામાં આવી છે.
શ્રી સરકાર કરેલી જમીન કેટલી?
અમદાવાદ જિલ્લા અને મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં સરકાર થયેલી જમીનના આંકડા સામે આવ્યા છે જેમાં વર્ષ 2020માં ઘટલોડિયામાં 22361 ચો.મી જમીન, સાબરમતીના વર્ષ 2021માં 13562 ચો.મી જમીન, મણિનગરમાં વર્ષ 2020માં 6526 ચો.મી જમીન, વર્ષ 2021માં 72033 ચો.મી જમીન, દસક્રોઇમાં વર્ષ 2021માં 99816 ચો.મી જમીન, સાણંદમાં વર્ષ 2020માં 5464 ચો.મી જમીન, વર્ષ 2021 માં 951380 ચો.મી જમીન, ધોળકાના વર્ષ 2020માં 11329 ચો.મી જમીન, ધંધુકામાં વર્ષ 2021માં 233 ચો.મી જમીન, વિસનગરમાં વર્ષ 2021માં 96263 ચો.મી જમીન, ઉંઝામાં વર્ષ 2020માં 2315 ચો.મી જમીન, વર્ષ 2021માં 8705 ચો.મી જમીન, બહુચરાજીમાં વર્ષ 2020માં 6937 ચો.મી જમીન, આ તમામ જમીન ફાળવણીની શરતમાં ભંગ થતા સરકાર થઇ છે. MLA લાખા ભરવાડે પૂછેલા પ્રશ્નો સરકારે જવાબ રજૂ કર્યો હતો.