હાલમાં રાજ્યના પાટનગરમાં જ્યાં અનામતનું ભૂત ધણધણ્યું છે. એક તરફ અનામત કેટેગરીની મહિલાઓ તો બીજી તરફ તેની સામે બિનઅનામત વર્ગની મહિલાઓ અનામત આંદોલનને લઇને લડી લેવાના મૂડમાં મેદાનમાં આવી છે ત્યારે અનામતના હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે મંત્રીઓ ગાંધીનગરની બહાર છે.
ગાંધીનગરમાં આજે રાજય મંત્રીમંડળ રાજધાની બહાર
અનામતનો હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે મંત્રીઓ ગાંધીનગર બહાર
મુખ્યમંત્રી વિજય રુપાણી આજે રાજકોટ અને કચ્છમાં
ગાંધીનગરમાં એક તરફ અનામત વર્ગની મહિલાઓ તો બીજી તરફ બિન અનામત વર્ગની મહિલાઓ ધમાસાણ મચાવી રહી છે. હાલ બિન અનામત આંદોલન સમિતિ દ્વારા મહિલા ઉમેદવારો ધરણાં પર બેઠાં છે, જેમના સમર્થનમાં પાસના કાર્યકરો ઉતર્યાં છે.
જો કે જોગાનુજોગ ગણો કે પછી સરકાર આંદોલનકારીઓ સાથે મુલાકાત કરવા ઇચ્છતી નથી. આજરોજ રાજ્ય સરકારનું મંત્રીમંડળ રાજધાનીની બહાર છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે આજે રાજકોટ અને કચ્છની મુલાકાતે છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાને લઇને પાટણમાં છે.
જ્યારે અન્ય નેતામાં ભૂપેન્દ્રસિંહ અને કુંવરજી બાવળિયા ગાંધીનગરની બહાર છે. આ સાથે મંત્રી જવાહર ચાવડા, કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા અને કૌશિક પટેલ પણ કોઇ કામકાજને લઇને ગાંધીનગરની બહાર છે. દિલિપ ઠાકોર અને ઇશ્વર પરમાર પણ ગાંઘીનગરમાં ગેરહાજર છે.
જ્યારે માત્ર ને માત્ર કેબિનેટ મંત્રીમાં એક જ મંત્રી સૌરભ પટેલ માત્ર ગાંધીનગરમાં હાજર છે. આમ જ્યારે સરકાર તરફથી અનામત મુદ્દે રાજ્ય સરકાર મહત્વનો પરિપત્ર બહાર પાડવાનો હોય ત્યારે સીએમ, ડે.સીએમ સહિત કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ પાટનગરની બહાર હોય એ કેવી રીતે શક્ય બનશે, તેના પર સવાલ છે.