બહુચરાજી મંદિરની ઉંચાઇ સાત ફૂટ ઘટી જવાના પ્રકરણમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ ઘડાયો છે. રૂપિયા ૧૫ કરોડ ખર્ચાયા પછી મંદિરની ઉંચાઇનો વિવાદ છેડાતા આ મંદિરની ઉંચાઇ વધારવાનો ઠરાવ કરાયો હતો.
આ કામગીરી પાછળ મંદિર સમિતિને વધુ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ મંદિરની ઉંચાઇ ઘટવા પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી બહાર આવી હતી.
જો કે હવે કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે શ્રધ્ધાળુઓ આપેલા નાણાંમાંથી મંદિરની ઉંચાઇ વધારવાની નોબત આવી છે. અલબત ત્રણ વર્ષ પછી પણ મંદિરની ઊંચાઈ વધી શકી નથી.
બાલા ત્રિપુરા સુંદરીમાં બહુચરના મંદિરની વિસ્તૃતિકરણની કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ વિવાદમાં સપડાઇ છે. નવીન બનેલુ મંદિર ઉંચાઇ ઘટી જવાને કારણે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ યોગ્ય નહી હોવાનો અભિપ્રાય અપાયો છે. ત્યારે ચોતરફથી મળેલા નકારાત્મક અભિપ્રાયને કારણે આ મંદિરની ઉંચાઇ વધારવાનો ઠરાવ કરાયો હતો.
ટ્રસ્ટીમંડળ દ્વારા થયેલા આ ઠરાવનું અમલીકરણ થાય તો મંદિરની ઉંચાઇ વધારવા પાછળ ત્રણ કરોડ રૂપિયા ખર્ચ થઇ શકે છે. આ મંદિરની કામગીરી પાછળ અત્યાર સુધીમાં ૧૫ કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા છે.
નકશા પ્રમાણે આ મંદિર ૫૬ ફૂટની ઉંચાઇ વાળુ બનવાનું હતુ પણ જ્યારે મંદિર બન્યુ ત્યારે ૪૯ ફૂટ જ ઉંચાઇ થઇ છે. આ સંજોગોમાં હવે કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે મંદિરમાં ભેટ સ્વરૂપે આવેલા શ્રધ્ધાળુઓની ભેટનો ઉપયોગ મંદિરની ઉંચાઇ વધારવા માટે કરવો પડે તેવી સ્થિતિ છે.
મંદિર વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ આરંભાયો ત્યારે મંદિરની ઉંચાઇ જૂના મંદિર જેટલી રાખવાનો નિર્ણય લેવાયો હતો. ગાયકવાડે ૧૮૩૯માં બનાવેલા મા બહુચરના મંદિરની ઉંચાઇ ૫૬ ફૂટ જેટલી હતી અને આ બાબતની નોંધ પણ ગાયકવાડના લેખમાં જોવા મળી રહી છે.
આ નોંધને પગલે નવીન બનનારા મંદિરની ઉંચાઇ પણ ૫૬ ફૂટ રાખવાની હતી અને આ માટે અમદાવાદની એજન્સી પાસે મંદિરની ડીઝાઇન પણ તૈયાર કરાવાઇ હતી પરંતુ નવીન બનેલા મંદિર અને મંદિરની ડીઝાઇનમાં જમીન આસમાનનો ફરક છે.
ડીઝાઇન પ્રમાણે કામ કરવાને બદલે મંદિરના કોન્ટ્રાક્ટરે પોતાની મરજી પ્રમાણે મંદિર બનાવી દીધુ છે. આ સંજોગોમાં મંદિરની ઉંચાઇ ૪૯ ફૂટ જ થઇ છે.
ધાર્મિક દ્રષ્ટિએ મંદિરની ઉંચાઇ ૫૬ ફૂટ થવી જરૂરી છે અને જો આ ઉંચાઇ ન થાય તો શ્રધ્ધાળુઓની આસ્થા સાથે ઠેસ પહોચે તેમ છે. અલબત મંદિરના કોન્ટ્રાક્ટરને રૂપિયા ૧૫ કરોડ ચૂકવી દેવાયા બાદ આ ક્ષતિ સામે આવી છે ત્યારે હવે આ ઉંચાઇ વધારવા માટે ફરી એક વખત મંદિરની તિજોરીમાંથી નાણાં ખર્ચવા પડે તેમ છે.
કોઇપણ ધાર્મિક સ્થળનું મહત્વ જણવાય તે માટે મંદિરની ઉંચાઇ ખૂબ મહત્વની ગણવામાં આવે છે પરંતુ બહુચરાજીમાં કરોડો રૂપિયા ખર્ચી દેવાયા પછી પણ મંદિરનું મહત્વ નથી જાણવી શકાયુ.
હવે આ મામલે મંદિર સમિતિ એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યુ છે પણ હકીકત એ છે કે શ્રધ્ધાળુઓના કરોડો રૂપિયાનો અણઘડ વહીવટને કારણે દુવ્યર્ય થયો છે.