આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાને જીત્યા બાદ પંજાબની અલગ-અલગ કોલેજમાં ભણતા કાશ્મીરી યુવાનો પર હુમલા થયા છે. એવા અહેવાલ વહેતા થયા છે. આ હુમલા કરનારા લોકોમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનો સમાવેશ થાય છે.
આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પરાજય
પંજાબની અલગ-અલગ કોલેજમાં કાશ્મીરી યુવાનો પર હુમલા
હુમલામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સામેલ
વિદ્યાર્થીઓ પર લાકડી દ્વારા કરાયો હુમલો
ફ્રી પ્રેસ કાશ્મીરના એક રિપોર્ટ મુજબ, પંજાબના સંગરૂરમાં ભાઈ ગુરૂદાસ ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં ઘણાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો. કોલેજના છાત્રાવાસના રૂમમાં પણ હુમલો કરવામાં આવ્યો. એક વિદ્યાર્થીએ ફેસબુક પર આ હુમલાનું લાઈવ-સ્ટ્રીમ પણ કર્યુ. વિદ્યાર્થીઓ પર રોડ અને લાકડીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. ફ્રી પ્રેસ કાશ્મીરે ભાઈ ગુરૂદાસ ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના એન્જિનિયરીંગના વિદ્યાર્થી આકિબે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાંક તોફાની તત્વોએ તેમના રૂમમાં ઘુસીને તેમની પર હુમલો કર્યો.
6 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ
આ કોલેજના બીજા એક વિદ્યાર્થી શોએબે કહ્યું, જ્યારે અમે બહારથી બૂમો સાંભળી ત્યારે અમે પોતાના છાત્રાલયના રૂમમાં હતા. અમે જોવા ગયા કે શું થઈ રહ્યું છે અને બીજા બ્લોકમાં કેટલાંક લોકોએ કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. તેઓએ રૂમની બારી અને કાચ તોડી નાખ્યા હતા. તેઓ સતત તુમ પાકિસ્તાની હો ના સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે બધા એક બંધ રૂમમાં છુપાઈ ગયા હતા. અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું, અમારી પર હુમલો થતાં સ્થાનિક પંજાબીઓ બચાવમાં ઉતર્યા હતા. તેમણે અમને બચાવવાનો પ્રયાસ કર્યો. તો બીજા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેમણે કોલેજના વહીવટી તંત્ર સાથે વાતચીત કરી છે અને કોલેજના સંચાલકોએ આશ્વાસન આપ્યું કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મારામારીની ઘટનામાં ઓછામાં ઓછા 6 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.