કેન્દ્ર સરકાર દેશમાં રોડ ટ્રાવેલને સુરક્ષિત બનાવવાની દિશામાં સતત કામ કરી રહી છે જેથી અકસ્માતો ઘટાડી શકાય
એરબેગ બાદ હવે ટાયરને લઈને કડક નિયમ, ટાયર માટે 3 મુખ્ય કેટેગરી
નવી ડિઝાઇનના ટાયર 1 ઓક્ટોબર, 2022થી ઉપલબ્ધ
1 એપ્રિલ, 2023થી દરેક વાહનમાં એક જ ડિઝાઈનના ટાયર આપવાનું ફરજિયાત
કેન્દ્ર સરકાર દેશમાં રોડ ટ્રાવેલને સુરક્ષિત બનાવવાની દિશામાં સતત કામ કરી રહી છે. જેથી દેશમાં રોડ અકસ્માતોની ઘટના ઘટાડી શકાય. કારમાં પહેલા એરબેગ્સ ફરજિયાત બનાવવામાં આવી હતી. ત્યારબાદ તેની સંખ્યા વધારીને 6 કરવામાં આવી હતી. આ તરફ હવે સરકારે ટાયરની ડિઝાઇનને લગતા નવા નિયમો પણ જારી કર્યા છે.
ક્યારથી લાગુ પડશે આ નવી ડિઝાઇન ?
આ નવી ડિઝાઇનના ટાયર 1 ઓક્ટોબર, 2022થી દેશમાં ઉપલબ્ધ થશે. જ્યારે 1 એપ્રિલ, 2023થી દરેક વાહનમાં એક જ ડિઝાઈનના ટાયર આપવાનું ફરજિયાત બનશે.
ટાયર માટે કેટેગરી સહિત આ ફેરફારો થશે
નવા નિયમો અનુસાર, હવે ટાયર માટે 3 મુખ્ય કેટેગરી C1, C2 અને C3 બનાવવામાં આવશે. આ તમામ ઓટોમોટિવ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (AIS)ના બીજા તબક્કા હેઠળ ફરજિયાત હશે. આ માટે મોટર વાહન અધિનિયમમાં દસમા સુધારાની સૂચના જારી કરવામાં આવી છે. સરકારે ઇંધણ કાર્યક્ષમતા અનુસાર ટાયરના સ્ટાર રેટિંગની સિસ્ટમ પણ બનાવી છે.
ટાયરના નવા માપદંડો નક્કી કરવામાં આવશે
આ સિવાય ટાયરના ઘણા નવા માપદંડો પણ નક્કી કરવામાં આવશે. રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ એમિશન જેવા ધોરણો બનાવવામાં આવ્યા છે. ટાયરના નવા ધોરણો તેમને રસ્તા પરના ઘર્ષણ, ભીના રસ્તા પર પકડ અને વધુ ઝડપે નિયંત્રણ તેમજ વાહન ચલાવતી વખતે અવાજ વગેરેના આધારે સુરક્ષિત બનાવશે.
નવા નિયમો અને ફેરફારથી ગ્રાહકોને શુ ફાયદો ?
ટાયરના નવા સ્ટાન્ડર્ડ પણ ગ્રાહકોને ઘણા ફાયદા લાવશે. સૌથી મોટો ફાયદો એ થશે કે, વિદેશમાંથી સબસ્ટાન્ડર્ડ ટાયરની આયાત બંધ થઈ જશે. હાલમાં ભારતમાં મોટા પાયે ચીનમાંથી ટાયરની આયાત કરવામાં આવે છે. ગ્રાહકોને બીજો ફાયદો એ થશે કે, તેઓ ટાયરની ગુણવત્તા તેના રેટિંગના આધારે ઓળખી શકશે. નવી ડિઝાઈનને કારણે તેમને રસ્તા પરના ટાયર કરતાં વધુ સારી પકડ મળશે અને ટાયરની ગુણવત્તા પણ પહેલા કરતા સારી રહેશે.
નોંધનિય છે કે, તાજેતરમાં, ટાયર કંપની મિશેલિનએ જાહેરાત કરી હતી કે તેણે ભારત સરકારની નવી સ્ટાર રેટિંગ સિસ્ટમ અનુસાર દેશમાં પ્રથમ વખત બે ટાયર લોન્ચ કર્યા છે.