એક તરફ રોજબરોજ ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેક નવાં નવાં સંશોધન થઈ રહ્યાં છે, પરંતુ આપણા દેશના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધાને વધારે પ્રાધાન્ય આપે છે અને આવા લોકોને ફસાવીને ઠગ ટોળકી લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરતી હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સાબરમતીમાં રહેતી યુવતીએ બ્રેકઅપ બાદ પોતાના પ્રેમીને ફરી મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ પરથી એક જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. જ્યોતિષીએ વાતોની જાળમાં ફસાવીને વિધિ કરવાના બહાને આ યુવતી પાસેથી રૂ. ૮૦ હજારના સોનાના દાગીના પડાવી લીધા છે.
સાબરમતીમાં રહેતી ૨૧ વર્ષીય આરતી (નામ બદલ્યું છે)એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરતી એક દવાની કંપનીમાં સેલ્સનું કામકાજ કરે છે. પોતાની કંપનીમાં નોકરી કરતા એક યુવક સાથે આરતીનો પરિચય થયો હતો અને પછી તેમની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. બાદમાં બંને અવારનવાર એકબીજાને મળતા અને વાતચીત કરતા હતા. કોઇ કારણસર બંને વચ્ચે મનદુઃખ થતાં બ્રેકઅપ થઇ ગયું હતું, પરંતુ આરતી આ યુવકને ખૂબ પ્રેમ કરતી હોવાથી પ્રેમી સાથે વાત કરવા માગતી હતી. આથી બધું સરખું થઇ જાય અને પરિવાર સાથેનો અણબનાવ દૂર થઇ જાય તે માટે ઓનલાઇન ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરતી હતી.
ઈન્સ્ટાગ્રામ ઉપર જ્યોતિષી રાણાભાઇની સાથે પરિચય થયો
આ દરમ્યાન એકાદ મહિના પહેલાં ઈન્સ્ટાગ્રામ ઉપર જ્યોતિષી રાણાભાઇની સાથે પરિચય થયો હતો. જ્યોતિષીએ તેનો મોબાઇલ નંબર આપી શાસ્ત્રીનગર રહેતો હોવાનું જણાવી જ્યોતિષમાં તે જાણકાર હોવાનું કહી વાતચીત આગળ ચલાવી હતી. આરતીએ જ્યોતિષીને જણાવ્યું કે મારે એક યુવક સાથે સંબંધ હતો અને તેને હું ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ કોઇ કારણોસર બ્રેકઅપ થઇ ગયું છે. જોકે મારે તેની સાથે સંબંધ રાખવો છે આમ કહેતાં જ્યોતિષીએ આરતીને કહ્યું હતું કે બધું સારું થઇ જશે પરંતુ વિધિ કરવી પડશે.
વિશ્વાસમાં લઇ આરતી પાસેથી સોનાનું બ્રેસલેટ, લકી પડાવી લીધા
રાણાભાઇ જ્યોતિષીએ આરતી સાથે વાતચીત કરીને તેને વિશ્વાસ અપાવ્યો હતો. આરતીની સમસ્યા જાણ્યા બાદ જ્યોતિષીએ કહ્યું હતું કે તમારે બધું સારું કરવું હોય તો સોનાની વસ્તુમાં વિધિ કરવી પડશે. પોતાનો પ્રેમ પામવા માટે યુવતી જ્યોતિષીની વાતોમાં આવી ગઈ અને વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગઈ હતી. રાણાભાઇએ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની સામે ફોન કરી આરતીને બોલાવી હતી. આરતી ત્યાં એકલી ગઈ હતી અને ત્યાં રાણાભાઇ જ્યોતિષીને મળી હતી. રાણાભાઈએ વિધિ બાબતે વાતચીત કરી વિશ્વાસમાં લઇ આરતી પાસેથી સોનાનું બ્રેસલેટ, લકી તથા સોનાની ચેઈન મળીને ૮૦ હજાર રૂપિયાના દાગીના લઈને એક કલાકની વિધિ પૂર્ણ કરી પરત દાગીના આપી દઇશ તેમ કહીને જતા રહ્યા હતા.
એકાદ કલાકમાં વિધિ પૂર્ણ કરી આવું તેમ કહી જ્યોતિષી રફુચક્કર
એકાદ કલાકમાં વિધિ પૂર્ણ કરી આરતીના દાગીના પરત આપવાની વાત જ્યોતિષીએ કરી હતી, પરંતુ જ્યોતિષી પરત ન આવતાં આરતીએ ફોન કર્યો હતો, પરંતુ તેમણે હાલમાં વિધિ ચાલુ છે, વિધિ પૂર્ણ થશે ત્યારે તમારા દાગીના પરત આપી દઈશ તેમ કહી જુદા જુદા બહાનાં બતાવી સોનાના દાગીના પરત આપ્યા નહોતા. અંતમાં આરતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું ખબર પડતાં આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
અગાઉ પણ ઢોંગી-ધુતારા તાંત્રિકોએ મહિલાઓને છેતરી છે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્યારેય ઢોંગી-ધુતારા તાંત્રિકોએ મહિલાઓને વિધિના બહાને પોતાની પાસે બોલાવી તેમની સાથે દુષ્કર્મ કર્યું હોવાના કિસ્સા ભૂતકાળમાં આવી ચૂક્યા છે. આજના ડિજિટલ યુગમાં પણ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિની જાળમાં ફસાયેલો સમાજ પોતાનું સર્વસ્વ ગુમાવે છે તેવા અનેક કિસ્સા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ઘણા કિસ્સામાં હવસખોરો મંત્ર-તંત્રની જાળમાં ભલાભોળા લોકોને ફસાવી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવે છે.