એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે આખા અફઘાનિસ્તાનમાં ભયંકર હવાઈ ગોળીબાર કરવામાં આવ્યું હતું જેમાં 70 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
તાલિબાનનો દાવો : પંજશીર જીત્યા
પંજશીર ગવર્નર ઓફિસ પર કબજો : તાલિબાન
જશ્નમાં તાલિબાન દ્વારા કરવામાં આવી હવાઈ ફાયરિંગ
70 લોકો માર્યા ગયા હોવાના સમાચાર
તાલિબાનનો દાવો : પંજશીર પર થયો કબજો
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ પાછું આવી ગયું છે. થોડા દિવસ બાદ આધિકારીક રીતે તાલિબાન અહિયાં સરકાર બનાવી લેશે અને તેના માટે મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. જોકે સરકાર બને તે પહેલા જ તાલિબાન દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાને પંજશીર પર પણ કબજો કરી લીધો છે. આ વાત સાંભળતા જ આખા દેશમાં તાલિબાનનાં લડાકૂએ બેકાબૂ બન્યા હતા અને અંધાધૂંધ હવાઈ ફાયરિંગ કરીને જશ્ન માનવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. જોકે આ જશ્ન માતમમાં ફેરવાઇ ગયો છે, દેશમાં કેટલાય સ્થાનો પર ફાયરિંગનાં કારણે લોકોનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે.
હવાઈ ફાયરિંગમાં જ 70 લોકો માર્યા ગયા હોવાના સમાચાર
તાલિબાન દ્વારા કરવામાં આવેલ હવાઈ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 70 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે આ સંખ્યા હજુ પણ વધારે હોય શકે છે કારણ કે કેટલાય રાજ્યો એવા છે જ્યાંથી હજુ સુધી યોગ્ય રિપોર્ટ પણ મળી શક્યા નથી. ખામાં ન્યૂઝ દ્વારા આપવામાં આવેલ એક અહેવાલ અનુસાર એક જ હોસ્પિટલમાંથી 17 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઈસ્લામી અમીરાતનો એક માત્ર વિરોધી પ્રાંત પંજશીર પર કથિત રૂપે તાલિબાને કબજો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જે બાદ લડાકૂઓએ ગેલમાં આવીને હવાઈ ફાયરિંગ કર્યું હતું. જોકે હવે આ ફાયરિંગમાં મરનાર લોકોને સાચો આંકડો તાલિબાનો બહાર આવવા દેશે કે નહીં તેને લઈને પણ ઘણા લોકોને મનમાં આશંકા છે.
પંજશીરનાં અભેદ્ય કિલ્લોમાં તાલિબાને પાડ્યું ગાબડું?
તાલિબાનનો દાવો છે કે પંજશીરમાં રાજ્યપાલની ઓફિસ પર તેના કબજો કરી લેવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણમાંથી બહાર એકમાત્ર પ્રાંત પંજશીર છે. જો કે, અફઘાનિસ્તાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફએ) તાલિબાન દ્વારા કરવામાં આવી રહેલ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. નોંધનીય છે કે પંજશીર એક માત્ર એક અભેદ્ય કિલ્લો છે જ્યાં તાલિબાનનું શાસન સ્થાપિત થઈ શક્યું નથી. વર્ષો પહેલા સોવિયેત દ્વારા અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરવામાં આવ્યું ત્યારે સોવિયેત પણ પંજશીરમાં આવીને જ હારી ગયું હતું.
જોકે તાલિબાન દ્વારા કરવામાં આવી રહેલા દાવા પર વિદ્રોહી પક્ષ દ્વારા ખંડન કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહે છે કે આગામી સમયમાં અહેમદ મસૂદ દ્વારા શું દાવો કરવામાં આવે છે અને દુનિયાનાં દેશો પંજશીરને લઈને શું પગલાં ભરે છે.
નોંધનીય છે કે અહેમદ મસૂદને પંજશીરનો સિંહ કહેવામાં આવે છે. અહેમદ મસૂદનું કહેવું છે કે જો અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવી હોય તો તેમને પણ સરકારમાં ભાગીદારી આપવી પડશે. જોકે આવું કરવા માટે તાલિબાન તૈયાર નથી. તાલિબાન હવે પંજશીર જીતી લેવા માટે તલપાપડ થઈ રહ્યું છે. ત્યારે આજે તાલિબાન દ્વારા કરવામાં આવેલ દાવો જો સાચો હશે તો તાલિબાનનો વધુ એક વિજય માનવામાં આવશે.