સુરત: ધુલિયા-પારોલા રોડ પર કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ઘટનાસ્થળ પર જ 4 લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયાં છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું પણ જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર પરિવાર નવસારીનો રહેવાસી હતો. નસીમાબાદ ખાતે સામાજિક પ્રસંગમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન ધુલિયા પાસે તેમની કારને અકસ્માત નડ્યો. પરિવારના 4 સભ્યોને કાળનો કોળિયો ભરખી ગયો.
આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કાર અને ટ્રેલર રોડથી કેટલાક ફૂટ ખેતરમાં જઇ પહોંચ્યા હતા. ટ્રેલર અને કાર વચ્ચે કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. એક જ પરિવારના 4 સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જો કે આ અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પરંતુ આ તમામના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.