ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા જય ભગવાન ગોયલે એક પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું ટાઇટલ છે 'આજના શિવાજી-નરેન્દ્ર મોદી'. ગત રવિવારે દિલ્હી સ્થિત બીજેપી કાર્યાલયમાં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. પુસ્તકનું અનાવરણ કરતા સમયે ત્યાં દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી, પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજૂ અને પૂર્વ સાંસદ મહેશ ગિરી પણ હાજર હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા જય ભગવાન ગોયલના એક પુસ્તક પર વિવાદ
પુસ્તક દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની તુલના મહાન યોદ્ધા શિવાજી મહારાજ સાથે કરવામાં આવી
ભાજપના રાજ્યસભા સાંસદ છત્રપતિ સંભાજી રાજે આ પુસ્તક પર પ્રતિબંધ લગાવવાનું સમર્થન કર્યું છે
જોકે, હવે આ પુસ્તકના ટાઇટલને લઇને વિવાદ ઉભો થયો છે. લોકોનું કહેવું છે કે, આ પુસ્તક દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની તુલના મહાન યોદ્ધા શિવાજી મહારાજ સાથે કરવામાં આવી છે જે ખોટી છે. આ પુસ્તકનો વિરોધ કરતા લોકોએ તેના પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ આ પુસ્તકનો વિરોધ કર્યો છે. સંજય રાઉતે ટ્વિટ કરતા લખ્યું છે કે ગોયલ આ પહેલા દિલ્હીમાં મહારાષ્ટ્ર ગૃહ પર હુમલો કરી ચૂક્યા છે અને મહારાષ્ટ્ર તથા મરાઠી બોલનારા લોકોને ગાળો આપી ચૂક્યા છે.
સંજય રાઉતે મહારાષ્ટ્ર બીજેપી પાસે આ આખા મામલા પર સ્પષ્ટતા માંગી છે. શિવસેના નેતાએ લખ્યું કે, ઓછામાં ઓછુ મહારાષ્ટ્ર બીજેપી તો તેના પર સ્પષ્ટતા કરવી જોઇએ. છત્રપતિ શિવાજીની તુલના આ દુનિયામાં કોઇની સાથે કરી શકાય તેમ નથી...માત્ર એક સુર્ય છે...એક ચંદ્ર છે અને માત્ર એક જ શિવાજી મહારાજ...છત્રપતિ શિવાજી મહારાજ.
શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલે પાસે પણ સંજય રાઉતે પૂછ્યું કે હવે તેઓ તેના પર શું કહેશે. નોંધનીય છે કે, ઉદયનરાજે સતારાથી પૂર્વ સાંસદ છે અને છત્રપતિ શિવાજી મહારાજના 13મી પેઢીથી સંબંધ રાખે છે. ભોસલે પહેલા NCPમાં હતા પરંતુ રાજીનામુ આપીને બીજેપીમાં સામેલ થઇ ગયા હતા. તેઓએ સતારા બેઠકથી બીજેપીની ટિકિટ પર લોકસભા પેટાચૂંટણી પણ લડી હતી પરંતુ હારી ગયા હતા.
બીજી તરફ ભાજપના રાજ્યસભા સાંસદ છત્રપતિ સંભાજી રાજે આ પુસ્તક પર પ્રતિબંધ લગાવવાનું સમર્થન કર્યું છે. તેઓએ માંગ કરી કે ભાજપના પ્રમુખ અમિત શાહ પુસ્તક પર પ્રતિબંધ મુકવો જોઇએ કેમકે સોશિયલ મીડિયા પર લોકો આ પુસ્તક પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.