સમયની સાથે ટેકનોલોજી અને વિજ્ઞાન ખુબ આગળ વધતું જાય છે. ત્યારે હવે વિજ્ઞાન દ્વારા નવી શોધ કરવામાં આવી છે. જે માણસના ચહેરા પર કુત્રિમ નાક પ્રત્યારોપિત કરી શકશે. અને આ નાક પ્રાકૃતિક નાક કરતાં વધુ ક્ષમતાવાળું છે તેઓ વૈજ્ઞાનિકનો દાવો છે.
માણસના ચહેરા પર કૃત્રિમ નાક પ્રત્યારોપિત થઇ શકશે
પ્રાકૃતિક નાક કરતાં વધુ ક્ષમતાવાળું છે માનવ કોશિકાથી બનેલું કૃત્રિમ નાક
આ ટીમમાં એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક છે
આવનારા સમયમાં માણસના ચહેરા પર એવું કૃત્રિમ નાક પ્રત્યારોપિત થઇ શકશે, જે પ્રાકૃતિક નાક કરતાં પણ બહેતર હશે. ચહેરાની જરૂરિયાત પ્રમાણે ડિઝાઇન કરાનાર આ નાકનો ઉપયોગ યુદ્ધ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં થઇ શકશે. માનવ કોશિકાઓમાંથી તૈયાર કરાયેલા આ નાક (બાયોનિક નોઝ)ને અમેરિકાની પ્રયોગશાળામાં તૈયાર કરાયું છે. નાક પર સંશોધન કરાયેલ ટીમમાં ઇંદોરના યુવા વૈજ્ઞાનિક ડો. સુદીપ જોશી પણ સામેલ છે.
સુદીપે જણાવ્યું કે હાલમાં આ નાકને ત્રણ પ્રકારની ગંધ ગુલાબ, વિસ્ફોટક અને ઇન્ફ્લુએન્ઝા વાઇરસને દૂરથી જ સૂંઘી શકવા લાયક બનાવાયું છે. તેનો ઉદેશ્ય એ છે કે જે ગંધ કે દુર્ગંધની જાણ સામાન્ય રીતે માણસને થઇ શકતી નથી તેની જાણ બાયોનિક નોઝ લગાવી શકશે. તેની ક્ષમતાને હજુ પણ વધારાશે.
સુદીપ ઇંદોરની વૈષ્ણવ એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી છે. ૨૦૧૬માં તેણે હાર્વર્ડ મેડિકલો સ્કૂલના વિજ્ઞાની સાથે મળીને બાયોનિક નોઝ પર સંશોધન શરૂ કર્યું. સુદીપે જણાવ્યું કે આ ટીમમાં તેઓ એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક છે. આ ઉપરાંત હાર્વર્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોના રૂપમાં અમેરિકા, સ્પેન, મેક્સિકો, ઇરાનના કુલ ૧૧ વિજ્ઞાની ટીમમાં સામેલ છે.
ડો. સુદીપ જોશીનો દાવો છે કે અત્યાર સુધી જે કૃત્રિમ નાક બનાવાયું હતું તે માત્ર ઇલેક્ટ્રોનિક નાક હતું. અમારા સંશોધનમાં પહેલી વાર માનવીય કોશિકા અને ઇલેક્ટ્રોનિક બંનેનો ઉપયોગ કરાયો છે. બાયોનિક નોઝને લેબમાં વિકસાવવા માટે કાર્ટેજ સેલનો ઉપયોગ કરાયો હતો. તેમાં સૂંઘવાની શક્તિ ગ્રાફિનના સૂક્ષ્મ કણો દ્વારા વધારાઇ હતી. નાક બનાવવા માટે મૃત વ્યક્તિઓના ૧૦,૦૦૦ સેલ લેવાયા હતા. તેમાં બાયોમટીરિયલ મિક્સ કરીને ૧૦ અઠવાડિયાં સુધી ૩૭ ડિગ્રી સેલ્સિયસ અને સાત ટકા કાર્બન ડાયોક્સાઇડ સાથે રાખવામાં આવ્યું, જેથી સેલ વધુ માત્રામાં વિકસિત થઇ શકે.