કચ્છમાં નર્મદા કેનાલમાં મોટા બે ગાબડા પડવા મામલે નર્મદા નિગમ દ્વારા પોલીસને જાણવા જોગ અરજી કરાઈ
કચ્છમાં નર્મદાની બ્રાંચ કેનાલમાં ગાબડાનો મામલો
નર્મદા નિગમ દ્વારા પોલીસને જાણવા જોગ અરજી કરાઈ
ગાબડું પાડવામાં આવ્યું હોવાનો નિગમનો આક્ષેપ
કચ્છની સૂકી ધરતી પર નર્મદાના નીર પહોંચે તેવા રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત 6 જુલાઇના રોજ કચ્છ નર્મદા કેનાલમાં નર્મદાના નીરના વધામણા થયા હતા. ઢોલ નગારાના નાદ સાથે ગ્રામજનોએ હર્ષોલ્લાસભેર નર્મદાના નીરને વધાવ્યુ હતું. પરંતુ માત્ર 24 કલાકમાં જ નર્મદા કેનાલમાં મસમોટા બે ગાબડા પડતા ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા શરૂ થઇ હતી ત્યારે આ સમગ્ર ઘટના મામલે નવો વળાંક સામે આવ્યો છે.
ગાબડુ પાડ્યુ હોવાનો નર્મદા વિભાગનો આક્ષેપ
કચ્છના બીદડા ગામે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતુ જેના 24 કલાકમાં જ ગાબડા પડતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા આ મામલે હવે નર્મદા વિભાગ દ્વારા અરજી કરવામાં આવી છે. નર્મદા વિભાગે અસામાજિક તત્વો દ્વારા કેનાલમાં ગાબડું પાડ્યાનો આક્ષેપ કરતી અરજી કરી છે. ઘટના સ્થળેથી અન્ય મશીનરીના ટાયરના નિશાન મળતા નર્મદા વિભાગે પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરી છે.
માંડવી પોલીસ સ્ટેશનમાં કરાઇ અરજી
નર્મદા નિગમ દ્વારા માંડવી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એવી શંકા છે કે અસમાજિક તત્વો દ્વારા ગાબડુ પાડવામાં આવ્યું છે. જો કે હાલ તો કેનાલના ગાબડાનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આવુ પહેલીવાર બન્યુ છે કે કેનાલમાં ગાબડા મામલે અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હોય. મહત્વનું છે કે જ્યારે ગાબડુ પડ્યું હતું ત્યારે નર્મદાના અધિકારીઓ એવુ કહેતા હતા કે કેનાલની નબળી કામગીરી હોઇ શકે છે ત્યારે હવે કેનાલ પાસેથી જેસીબી અને હેવી મશીનરીના નિશાન મળી આવતા જાણવાજોગ કરવામાં આવી છે. જો કે હવે જોવુ એ રહ્યું કે નર્મદા નિગમના આક્ષેપમાં કેટલું તથ્ય છે.
લિપાપોતીનો પ્રયાસ કરાયો હોઇ શકે - જિલ્લા પ્રમુખ, કચ્છ કોંગ્રેસ
તો સમગ્ર મામલે વીટીવી સાથે કચ્છ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સાથે વાતચીત કરવામાં આવી તેઓએ ક્યાંકને ક્યાંક લિપાપોતી કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ લગાવ્યો. સાથે જ જણાવ્યું કે જો અસમાજિક તત્વો દ્વારા આવી કામગીરી કરવામાં આવી હોય તો તેની તપાસ થવી જોઇએ. પણ જો લિપાપોતી કરવાની વાત હોય તો ભ્રષ્ટાચાર કેવી રીતે થયો તેની તટસ્થ તપાસ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.
આ અંગે તપાસ થવી જોઇએ- સ્થાનિકો
આ મામલે સ્થાનિકોનું માનવુ છે કે કેનાલ રાતે તૂટી એટલે એવુ હોઇ પણ શકે છે કે અસમાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય, સવારે આવ્યા હતા ત્યારે કેનાલમાં કોઇ ગાબડુ ન હતું. વધુમાં જણાવ્યુ કે સાંજ સુધી તો પાણી બરાબર વહેતુ હતુ પરંતુ રાતે કેનાલમાં ગાબડુ પડી ગયુ. આં અગે સરકાર દ્વારા તપાસ થવી જોઇએ.
નર્મદા નિગમના આક્ષેપોમાં તથ્ય કેટલું ?
ખેડૂતો કચ્છમાં નર્મદાના નીરની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા, કેનાલમાં પાણી પણ છોડાયુ પરંતુ રાતોરાત કેનાલમાં આવા ગાબડા પડી જતા ખેડૂતો પણ મુંઝાયા છે કે આવુ કર્યુ કોણે હશે ? કારણ કે જ્યારે પાણીની અછત હોય ત્યારે નર્મદાના નીર ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું ખરેખર કોઇ અસમાજિત તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યુ કે પછી ભ્રષ્ટાચાર છૂપાવવાનો આ એક પ્રયાસ છે. ? નર્મદાના નિગમના આક્ષેપોમાં કેટલુ તથ્ય તે એક તપાસનો વિષય છે.