ગુજરાતમાં હવે દિવાળીના તહેવારનો માહોલ જામી ગયો છે. મુસાફરો પોતાના વતન તરફ દોટ મૂકી રહ્યાં છે. જેને કારણે અમદાવાદ ST ડેપો ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. લોકોના આ ધસારાને લઇ GSRTC વિભાગ પણ એલર્ટ બન્યું છે.
અમદાવાદ ST ડેપો ખાતે લોકો ઉમટ્યા
દિવાળી પર્વને લઇ લોકો વતન તરફ વળ્યા
મોટા પ્રમાણમાં લોકોના આગમનને પગલે ST વિભાગ એલર્ટ
GSRTC દ્વારા વધારાની બસોની વ્યવસ્થા
અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. આ લોકો દિવાળીના વેકેશન દરમિયાન વતનમાં જતા હોય છે. દિવાળીના તહેવારને આડે એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. અમદાવાદ ST ડેપોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા GSRTC વિભાગ પણ એલર્ટ બન્યું છે. ST વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વધારાની બસની વ્યવસ્થા કરી છે.
ખાનગી બસોના ભાડા ડબલ
દિવાળીને લઈને ST વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને કોઈ હાલાકી ન વેઠવી પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવામાં આવી રહી છે. અમદાવાદ વિભાગ અને સુરત વિભાગમાંથી વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. તેમ છતાં STની સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો હાઉસફુલ થઇ ગઇ છે. ST બસ ન મળતા પ્રવાસીઓ ડબલ ભાડું આપીને ખાનગી બસમાં જવા મજબૂર બન્યા છે. ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે.
દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા
અગાઉ એસ. ટી. નિગમના અધિકારી કે.ડી દેસાઈએ જણાવ્યું હતું કે, દિવાળીના પર્વ પર દરેક બસ સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા વધી જતી હોય છે એ પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં બસ મળી રહે એ માટે અમારા તમામ વિભાગીય નિયમકો, તમામ ટ્રાફિક અધિકારીઓ, તમામ ડેપો મેનેજરોને હેડ ક્વાર્ટરમાં રહીને ટ્રાફિક સુપરવાઈઝરોને બસ સ્ટેશન પર હાજર રાખીને એકસ્ટ્રા સંચાલન કરવા નિગમના ઉપાધ્યક્ષ ગાંધી સાહેબ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે.
2300 બસો દોડાવવામાં આવશે
તેઓએ જણાવ્યું હતું કે, માત્ર સુરત અને અમદાવાદ જ નહીં રાજ્યભરના એસટી ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે. જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે. 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવામાં આવશે.