દુર્ઘટનામાં શ્રમિકોની સલામતી માટે એડોર ગ્રુપ બેજવાબદાર
શ્રમિકોના મોત બાદ AMCએ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરી
જોકે આ દુર્ઘટનામાં શ્રમિકોની સલામતી માટે એડોર ગ્રુપ બેજવાબદાર ગણવામાં આવી રહ્યું છે. કારણ કે, અગાઉ પણ એડોર ગ્રુપની સાઇટ પર આ જ રીતે દુર્ઘટના ઘટી ચૂકી છે. 5 વર્ષ પહેલા શિવરંજની ચાર રસ્તા પરની સાઇટમાં આ રીતે એક દુર્ઘટના ઘટી હતી. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. તમને જણાવી દઇએ કે, આ એડોર ગ્રુપમાં કુલ 11 લોકોની ભાગીદારી છે. એસ્પાયર-2નું બાંધકામ હાલ ભરત ઝવેરી નામના વ્યક્તિ પાસે છે.
આ સિવાય આ દુર્ઘટનામાં બિલ્ડરની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. કારણ કે આ દુર્ઘટનામાં પોલીસ કે ફાયર વિભાગ કોઇને પણ જાણ ન હોતી કરાઈ. જાણ કર્યા વિના જ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે, કુલ 13 માલિકોના નામે AMCની રજા ચિઠ્ઠી છે.
પલ્લવી કંસારા
રમેશચંદ્ર કાલિયા
રાહુલ કાલિયા
કૈલાશચંત્ર કાલિયા
નિમેશકુમાર ઝવેરી
ભરત ઝવેરી
પારુલ ઝવેરી
વિપુલ શાહ
બાબુપ્રસાદ શાહ
નિતિન સંઘવી
જગદીશપ્રસાદ કાલિયા
નિર્મલા કાલિયા
ગોપાલસિંહ રાજપુરોહિત
જાણો શું કઇ રીતે ઘટી હતી સમગ્ર દુર્ઘટના?
નોંધનીય છે કે, અમદાવાદમાં આજે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિક નીચે પટકાયા હતા, જેમાં સાતનાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિક કરી રહ્યા હતા. આ કામદરમિયાન 13મા માળનો માચડો ભારે વજનને કારણે તૂટ્યો હતો. સ્લેબ તૂટતાં જ આઠેય શ્રમિક એકસાથે નીચે પડ્યા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8મા માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનને કારણે નેટ પણ તૂટી પડી હતી. નેટ તૂટતાં 8મા માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા.
શ્રમિકોના મોત બાદ AMCએ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરી
વધુમાં જણાવી દઇએ કે, એડોર સાઈટ પરની આ દુર્ઘટનાને લઇ શ્રમિકોના મોત બાદ AMCએ મહત્વનો નિર્ણય લીધો છે. AMC દ્વારા સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે. એટલે કે હવે સાઈટનું કામ સ્થગિત કરવામાં આવશે.
શ્રમ રોજગાર વિભાગે આપ્યા તપાસના આદેશ
આ દુર્ઘટનાને લઇને શ્રમ રોજગાર વિભાગે તપાસના આદેશ આપ્યા છે. આ તપાસનો અહેવાલ શ્રમ રોજગાર મંત્રી અને CMને સોંપવાનો આદેશ અપાયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે.
કોંગ્રેસના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા
આ દુર્ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. AMCના વિપક્ષ નેતા શહેજાદ ખાન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ નિરવ બક્ષી પણ ઘટનાસ્થળે જઇને સમગ્ર ઘટના અંગેની જાણકારી મેળવી હતી.
લિફ્ટ તૂટવા મામલે B ડિવિઝન ACP એલ.બી.ઝાલાનું નિવેદન
અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં લિફ્ટ તુટવાનો મામલો B ડિવિઝન ACP એલ.બી.ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમને આપેલી માહિતી અનુસાર ઘટનામાં કુલ 7 શ્રમિકોના મોત થયા છે. આ મામલે એક બિલ્ડરની અટકાયત કરવામાં આવી છે. ઘટના અંગે બિલ્ડરની પૂછપરછ કરવામાં આવી રહી છે. અડોર ગ્રુપના 4 પાર્ટનર છે. એક બિલ્ડરનું નામ વિશાલ શાહ અને બીજા 3 પાર્ટનર છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની છે. લિફ્ટ ઉપરથી નીચે પડતા 6 શ્રમિકો નીચે પડ્યા હતા, એક શ્રમિક ગભરાઇ જતા નીચે પડ્યો હતો. 13માં માળ અને 5માં માળેથી શ્રમિકો નીચે પડ્યા હતા. સોલા સિવિલ અને વાડીલાલ હોસ્પિટલ ખાતેથી પોલીસને જાણ કરવામાં આવી છે. સવારે 9.30 કલાકે ઘટના બની હતી. 10.30 કલાકે પોલીસને જાણકારી આપવામાં આવી હતી.કોન્ટ્રાકટરને બોલાવીને તપાસ ચાલુ કરી છે. સોલા સિવિલમાં મોકલાયેલ 5માંથી 4 લોકોના મોત થયા છે ક્યારે SVP હોસ્પિટલમાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં છે.
તમામ શ્રમિકો રોજગારી મેળવવા અમદાવાદ આવ્યા હતા
એસ્પાયર-2 બિલ્ડિંગના અકસ્માતમાં જે 7 શ્રમિકોના મૃત્યુ થયા છે તેમાના 4 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવ ગામના વતની છે અને બે મૃતકો દેવગઢ બારીયા તાલુકાના વિરોલ ગામના વતની છે. તમને જણાવી દઇએ કે, એસ્પાયર-2નું કન્ટ્રક્શન ભરત ઝવેરી નામના વ્યક્તિ પાસે છે. તમામ મૃતક શ્રમિકો કન્સ્ટ્રક્શનના કામમાં રોજગારી મેળવવા અમદાવાદ આવ્યા હતા. આ ઘટનાને પગલે અમદાવાદ મનપાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
The mishap at an under-construction building in Ahmedabad is saddening. Condolences to those who have lost their family members in this mishap. I hope the injured recover soon. The local authorities are providing all possible assistance to those affected: PM @narendramodi
અમદાવાદની નિર્માણાધીન ઈમારતમાં 7 શ્રમિકોના મૃત્યુ મામલે PM મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારને સંવેદના પાઠવતા કહ્યું 'નિર્માણાધિન ઈમારતમાં બનેલી ઘટના દુ:ખદ છે. ઈજાગ્રસ્તો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના. અસરગ્રસ્તોને સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે.'
અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગ સાઇટ પર થયેલ દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં જાન ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.