સરકાર ડોકટરોની હડતાળને ખોટી ઠેરવી રહી છે, CM રૂપાણીએ કહ્યું રેસિડેન્ટ ડૉક્ટરોની માંગ અયોગ્ય છે,ખોટી માંગ છોડીને કામે લાગી જાય.
રેસિડેન્ટ તબીબો હડતાળનો 5મો દિવસ
હડતાળને પગલે તબીબો આક્રમક
તબીબો સરકારે આપેલા સન્માન પત્રો કરશે પરત
ગઈકાલે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે ખોટી માંગ છોડીને કામે લાગી જાય
કોરોનામાં દિવસ રાત કામ કરીને રાજ્ય અને દેશને આ મહામારીમાંથી ઉગારનાર તબીબો છેલ્લા 5 દિવસથી પોતાની માગોને લઈ હડતાળ પર ઉતર્યા છે.સરકારના કપરા સમયે સરકારની વ્હારે આવેલા તબીબોની માગો માનવાની જગ્યાએ સરકારે રેસિડન્ટ તબીબોની હોસ્ટેલ ખાલી કરાવવાની નોટિસો આપી છે તેને લઈને તબીબોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે આજે રાજ્યભરમાં તબીબોએ આક્રમક રીતે આંદોલન કરવાની શરૂઆત કરી દીધી છે.અમદાવાદમાં હડતાળને પગલે બી.જે.મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ છે.તબીબોએ પણ પોલીસની હાજરીમાં દેશ ભક્તિના ગીતો ગાઈનો વિરોધ નોંધાવ્યો હતો.આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કર્યુ હતું.મહત્વપૂર્ણ છે કે સરકાર જો આવતીકાલ સુધીમાં માગો નહીં સ્વીકારે તો સરકારે આપેલા સન્માન પત્રો પણ સરકારને પરત કરવાનું તબીબો જણાવી રહ્યા છે.
સન્માન પત્રો પરત કરવાની તૈયારી
ગઈ કાલે સીએમ રૂપાણીએ આપેલા નિવેદન બાદ ડોકટરો વધુ આક્રમક બની દેખાવો કરી રહ્યા છે CM રૂપાણીએ કહ્યું હતું કે રેસિડેન્ટ ડૉક્ટરોની માંગ અયોગ્ય છે,ખોટી માંગ છોડીને કામે લાગી જાય, તો આ તરફ આવતીકાળ સુધીમાં જો માગ નહીં સ્વીકારાય તો હળતાળ કરી રહેલા તબીબો કોરોનાની કામગીરી દરમિયાન સરકાર તરફથી મળેલું સન્માન પોતાના આત્મસન્માન ખાતર પરત કરી દેશે.સાથે તબીબો સન્માન પત્ર આપતો ફોટો સરકારને પરત કરવાની તૈયારી ડોકટરોએ દાખવી દીધી છે. ડોકટરોની માંગ હવે આત્મસન્માનની લડાઈ બની ગઈ છે. તો સામે સરકારે માંગો પર પીછે હઠ ન કરવાનું મન બનાવી લીધુ છે.
બંને પક્ષો બેસીને ઝડપથી નિરાકરણ લાવે: ડો.રાકેશ જોશી, એડિ. સુપરિ.સિવિલ
અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે...આ મામલે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ કહ્યું કે રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર જતાં અનેક પ્લાન્ડ ઓપરેશન રદ કરવા પડ્યા છે...સિવિલ હોસ્પિટલમાં અન્ય જિલ્લાથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે...રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર જાય તો મુશ્કેલી થાય છે...શક્ય તેટલી મુશ્કેલી ઘટાડવા અમે વ્યવસ્થા કરી રહ્યાં છીએ...બંને પક્ષો સામ-સામે બેસીને ઝડપથી નિરાકરણ લાવે તેવી અપેક્ષા છે...રેસિડેન્ટ ડોક્ટર્સ 24 કલાક હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય છે...મેડિકલ કોલેજ માટે રેસિડેન્ટ ડોક્ટર્સની ભૂમિકા મહત્વની હોય છે...વૈકલ્પિક સગવડના કિસ્સામાં 5થી 7 દિવસ સુધી સિસ્ટમમાં ખાસ તકલીફ ના પડે...સિવિલમાં રોજ 250 જેટલા ઓપરેશન થતા હોય છે...રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળ પર હોવાથી 60 ટકા ઓપરેશન હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે...
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં દેખાવો
અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ તબીબોની 5માં દિવસે હડતાળ યથાવત છે. મોટી સંખ્યામાં રેસિડેન્ટ તબીબો એકઠા થઈ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. પોલીસની હાજરીમાં દેશ ભક્તિના ગીતો ગાઈ વિરોધ કર્યો હતો.તબીબોનું કહેવું છે કે અમને દુ:ખ છે કે દર્દીઓની સેવા અમે નથી કરી શકતા, પરંતુ સરકાર અમારું સ્વાભિમાન નથી જાળવતી, ન્યાય ન મળે ત્યાં સુધી હડળતાળ પર રહીશું તેવી તૈયારી પણ ડોકટરોએ કરી લીધી છે. તો સુરતમાં પણ રેસિડેન્ટ ડોક્ટર્સ સિવિલ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ કર્યો. સુરતમાં પણ રેસિડેન્ટ ડોક્ટર્સને હોસ્ટેલ ખાલી કરવા સરકારે નોટિસો ફટકારી છે. તો આ તરફ રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ તબીબોએ દેખાવો કરી વિરોધ કરી રહી છે.
શું છે ડોકટરોની માગ?
કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.રાજ્યભરમાં જુનિયર તબીબો હડતાળ પર છે. તેઓ પોતાની પાંચ માગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. આ માગોની વાત કરીએ તો રેસિડન્ટ પાસ થયેલા તબીબોની જૂના જી.આર મુજબ ડ્યુટી ગણવી. જો સરકાર નવા જી.આર મુજબ ગણે તો વિદ્યાર્થી જે જગ્યાએ પાસ આઉટ થયા હોય ત્યાં જ ડ્યૂટી આપવી.7મા પગાર પંચ પ્રમાણે ડ્યૂટી ગણવામાં આવે. બોન્ડ પ્લસ ડ્યૂટી કમ્બાઈન્ડ ગણવમાં આવે. અને રાજકોટમાં તબીબોનું હેલ્થ કમિશનરે અપમાન કર્યુ છે તે માટે માફી માગે અથવા રાજીનામું આપે તેવી માગણીઓ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે. હાલ તો તબીબો પોતાની માગોને લઈને મક્કમ છે ત્યારે આવનારા સમયમાં તબીબો અને સરકાર વચ્ચે વધુ ઘર્ષણ થાય તો નવાઈ નહીં