વડોદરા પાલિકાના એકાઉન્ટ વિભાગની પોલ ખૂલી, ઑડિટ રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા
VMCના એકાઉન્ટ શાખાની લાલિયાવાડી
431 કરોડની FD મુદ્દત પહેલા તોડી
5 કરોડના વ્યાજનું નુકસાન
2021-22ના ઓડિટમાં ગંભીર ક્ષતિઓ
વડોદરા મનપાના એકાઉન્ટ વિભાગની મનમાની સામે આવી છે. ઑડિટ રિપોર્ટ કઢાવતા મસમોટી પોલ ખૂલી છે. વડોદરા પાલિકાના એકાઉન્ટ વિભાગે ગયા વર્ષે વિવિધ બેંકોમાં મુકેલી 431 કરોડની ફિક્સ ડિપોઝિટો પાકતી મુદ્દત પહેલા જ ઉપાડી લીધી હોવાની ચોકાવનારી વિગતો ઓડિટ રિપોર્ટમાં સામે આવતાં હડકંપ મચી જવા પામ્યો છે. ડિપોઝિટો પાકતી મુદત પહેલા ઉપાડી લેતાં પાલિકાને અંદાજિત 5 કરોડના વ્યાજનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.તો 78.48 કરોડ એડવાન્સ પેટે જેતે ખાતાઓને આપ્યા હતા તેનો હિસાબ પણ નથી મળ્યો.
431 કરોડની ફિક્સ ડિપોઝિટો પાકતી મુદત પહેલા ઉપાડી
વડોદરા પાલિકાના ઓડિટ વિભાગે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષના આવક -જાવકનું ઓડિટ કર્યું હતું.જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.જેમાં એકાઉન્ટ વિભાગ દ્વારા બેંકોમાં રહેલા વધારાના નાણાંનું બેંક ફિક્સ ડિપોઝિટમાં સમયાંતરે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવીને રોકાણ કરવામાં આવે છે. ફંડની જરૂરિયાત મુજબ આવી ફિક્સ ડિપોઝિટ વટાવવામાં આવતી હોય છે...જોકે ગત વર્ષ જુલાઈ 2021 દરમિયાન એકાઉન્ટ વિભાગે જુદી જુદી ખાનગી બેંકોમાં કરેલી 431 કરોડની ફિક્સ ડિપોઝિટો પાકતી મુદત પહેલા જ ઉપાડી લીધી હતી.
ઑડિટ રિપોર્ટમાં થયો ખુલાસો
આ બાબત પાલિકાના ઓડિટ વિભાગને ઓડિટ દરમિયાન ધ્યાને આવી હતી.જેથી ઓડિટ શાખાએ એકાઉન્ટ વિભાગને 8 ફેબ્રુઆરી 2022ના રોજ પત્ર લખીને મુદ્દત પૂર્વે વટાવવામાં આવેલી ફિક્સ ડિપોઝિટ ઉપર કોઈ વ્યાજનું નુકસાન થયું છે કે કેમ? તથા અચાનક આવી ફિક્સ ડિપોઝીટો મુદત પૂર્વે વટાવવા અંગે કઈ પરિસ્થિતિ ઉભી થયેલી છે? તે જણાવવા પત્ર લખ્યો હતો, પરંતુ એકાઉન્ટ વિભાગએ આ બાબતે કોઈ જ સ્પષ્ટતા કરી ન હતી. જેથી ઓડિટ વિભાગે ઓડિટ રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો અને મુદત પૂર્વે વટાવેલ ફિક્સ ડિપોઝિટ પર થયેલ વ્યાજના નુકસાનની કઈ પરિસ્થિતિને કારણે થઈ હતી તેની તલસ્પર્શી તપાસ કરવા સૂચન કર્યુ છે.
એડવાન્સ નાણાનો હિસાબ નથી મળ્યો
એકાઉન્ટ વિભાગની મનમાની ઉપરાંત ઓડિટ રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે...જેમાં કોર્પોરેશન આકસ્મિક અથવા અનિવાર્ય સંજોગોમાં વિકાસ, નિભાવણી કે અન્ય વહીવટી કામો તથા ખરીદી માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવી અધિકારીઓને એડવાન્સ નાણાં આપે છે...એ પછી કામો પૂર્ણ થયા પછી તેના ફાઇનલ હિસાબોના જમા ખર્ચના બિલ ખાતા મારફતે ઓડિટ વિભાગથી માન્ય કરાવવાના હોય છે .તેમાં ઓડિટ દરમિયાન આવા 78.48 કરોડના એડવાન્સનો કોઈ હિસાબ જ મળ્યો નથી. 48 ખાતાઓના એડવાન્સ જમા ખર્ચ શૂન્ય છે જ્યારે 73 ખાતાઓના જમા ખર્ચ 13.74 ટકા છે...
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નુકસાન ન થયાનું રટણ
સમગ્ર મામલે ચીફ એકાઉન્ટન્ટે ખુલાસો કર્યો છે કે કામગીરીની વ્યસ્તતાના કારણે ઓડિટ વિભાગને જવાબ નથી આપી શકાયો અને પાલિકાને વ્યાજનું કોઈ નુકશાન નથી થયું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ પણ એકાઉન્ટ અને અન્ય વિભાગોને ક્લીનચીટ આપી પાલિકાને કોઈ નુકશાન ન થયા હોવાનો દાવો કર્યો હતો. મહત્વની વાત છે કે એકાઉન્ટ વિભાગે ખાનગી બેંકમાંથી એફડી તોડીને સરકારી બેંકમાં જમા કરાવતા વ્યાજનું નુકશાન થયું તે હકીકત છે. સાથે જ જે તે વિભાગને એડવાન્સ પેટે આપેલા નાણાંનો હિસાબ ન આપનાર અધિકારીઓ સામે જો કાર્યવાહી કરવામાં આવે તો નાણાં ક્યાં વપરાયા તેનો પર્દાફાશ થઈ શકે છે...