ક્રૂઝમાં ગોવા લઈ જવાની વાત કરી અમદાવાદના ટૂર ઓપરેટર સહિત 400 લોકો સાથે 57 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એજન્ટે ચેન્નઈથી મુંબઈ પ્લેનમાં અને મુંબઈથી ગોવા ક્રૂઝમાં મોકલવાના નામે વ્યક્તિદીઠ 25 હજાર રૂપિયા લઈ લીધા હતા. ખોખરાના પરિષ્કાર-રમાં રહેતા ઇલાંગો મુદલિયારે બે વ્યક્તિઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ઇલાંગો નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ટ્રાવેલ્સ હોલિડેઝ નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરે છે. વર્ષ 2021માં ઇલાંગો અને તેનો મિત્ર હસુભાઈ પટેલ ગોવા ગયા હતા. તે વખતે હસુભાઈના મિત્ર જિગરભાઈ પટેલ સાથે મુલાકાત થઈ હતી. તે વખતે જિગરે ઇલાંગોને કહ્યું હતું કે હું જોજો બસના નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરું છું અને મારું ક્રૂઝ સુરતથી દમણ જાય છે. તેઓ આમ કહીને એકબીજાના વધુ પરિચયમાં આવ્યા હતા.
વ્યક્તિદીઠ 25 હજાર જેટલો ખર્ચ નક્કી કરાયો હતો
થોડા દિવસ પહેલાં ઇલાંગોએ જિગરને ફોન કરીને કહ્યું હતું કે ચેન્નઈ ખાતે રહેતા મારા મિત્ર પી. સરવણ અને તેમના 400 માણસોને ચેન્નઈથી ગોવા ક્રૂઝમાં જવું છે તો આપણે ચેન્નઈ મળવા જઈએ તેવી વાત કરી હતી. જિગર અને ઇલાંગો બંને પી. સરવણને મળવા ગયા હતા. જ્યાં પી. સરવણે જિગરને કહ્યું હતું કે મારે 400 માણસોને ચેન્નઈથી ગોવા મોકલવાના છે તો તમે તમારું ક્રૂઝ ચેન્નઈ મોકલી આપશો? તેણે આમ કહેતાં જિગરે કહ્યું હતું કે હું તમારા માણસોને ચેન્નઈથી મુંબઈ પ્લેન દ્વારા લઈ જઈશ અને ત્યાંથી મારા ક્રૂઝમાં ગોવા મોકલી દઈશ તેમજ પરત પણ મોકલી દઈશ, પરંતુ વ્યક્તિદીઠ 25 હજાર જેટલો ખર્ચ થશે તેમ કહેતાં પી. સરવણે હા પાડી હતી.
ઇલાંગોએ જિગર અને તેના સાથીદારોને 57 લાખ રૂપિયા આપ્યા હતા
થોડા દિવસ પહેલાં જિગર પટેલ અને તેમના મિત્રોએ ઇલાંગોને ફોન કરીને કહ્યું હતું કે જે માણસોને મોકલવાના છે તેમના ટોકન પેટે નવ લાખ રૂપિયા આપવા પડશે. આથી અમુક રૂપિયા ઇલાંગોએ જિગરને ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ થોડા દિવસ પછી ફરી ફોન કરીને કહ્યું હતું કે જો તમારા માણસોને જલદી મોકલવાના હોય તો રૂપિયા જલદી આપો, નહીંતર ક્રૂઝ નીકળી જશે. આમ, ઇલાંગોએ ટુકડે ટુકડે જિગર અને તેના સાથીદારોને 57 લાખ રૂપિયા આપી દીધા હતા.
જિગર ઇલાંગો અને તેના મિત્રને ક્રૂઝની ઓફિસ પર લઇ ગયો હતો
તા.13-10-2021ના રોજ ઇલાંગો અને તેનો મિત્ર પી. સરવણ મુંબઈ ક્રૂઝ જોવા માટે ગયા હતા, પરંતુ ત્યાં તેમને ખબર પડી કે જે ક્રૂઝમાં ટ્રાયલ માટે જવાનું હતું તે કેન્સલ થયું છે. આથી જિગરે તેમને કહ્યું હતું કે અત્યારે ક્રૂઝ કેન્સલ થયું છે, પરંતુ તમારા માણસોને ક્રૂઝમાં લઈ જવાના છે એટલે ક્રૂઝ કેન્સલ નહીં થાય. જિગર ઇલાંગો અને તેના મિત્રને ક્રૂઝની ઓફિસ પર લઇ ગયો હતો. ત્યાં હાજર કંપનીના માણસોએ અહીં કોઈ બુકિંગ થયું નથી તેવી જાણ કરી હતી, પરંતુ જિગરે ઇલાંગો અને તેના મિત્રને તમે ચિંતા ના કરો, હું તમારા માણસોને ક્રૂઝ દ્વારા ગોવા લઇ જઈશ તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યાર બાદ તેઓ અમદાવાદ આવી ગયા હતા.
ગોવા લઇ જવાના બહાને 57 લાખ રૂપિયા પડાવી લીધા હતા
થોડા દિવસ પછી જિગરની ઓફિસ પર ઇલાંગો ગયો હતો. ઇલાંગોએ કહ્યું હતું કે અમે તમને જે પૈસા આપ્યા હતા તે તમે ક્રૂઝમાં ભર્યા નથી એટલે કંપનીમાંથી કનફર્મેશન લેટર લાવી આપો. ત્યાર બાદ બાકીના રૂપિયા આપીશું, જોકે જિગરે અને તેના સાથીદારોએ કોઈ લેટર ઇલાંગોને આપ્યો ન હતો અને ક્રૂઝમાં ગોવા પણ લઇ ગયા ન હતા. ત્યાર બાદ જિગર અને તેના સાથીદારોએ સમાધાન કરવાની વાત કરી હતી. આથી જિગર અને તેના સાથીદારોએ ઇલાંગો અને તેના મિત્ર પી. સરવણ તેમજ તેમના 400 માણસોને ક્રૂઝમાં ગોવા લઇ જવાના બહાને 57 લાખ રૂપિયા પડાવી લીધા હતા.