કોરોના કાળમાં 4 કરોડ લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ ન લીધો હોવાનું સરકારે સંસદને જણાવ્યું છે.
કોરોના કાળની સૌથી મોટી બેદરકારી
4 કરોડ લોકોએ નથી લીધો વેક્સિનનો એક પણ ડોઝ
હેલ્થ મિનિસ્ટર ભારતી પ્રવીણ પવારે સંસદની કરી જાણ
કોરોનાની સામે અસરકારક હથિયાર વેક્સિન હોવાનું કહી કહીને સરકાર થાકી ગઈ તેમ છતાં પણ લોકોની આંખ ઉઘડતી નથી અને હવે કોરોના કાળમાં લોકોની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. સરકારે સંસદને જાણ કરી છે કે હજુ સુધી 4 કરોડ લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સંસદને શેર કરી માહિતી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરની માહિતી શેર કરવામાં આવી છે કે દેશમાં અત્યાર સુધીમાં વોક્સિનના 200 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, દ્વિતીય અને બૂસ્ટર ડોઝનો સમાવેશ થાય છે. જો કે વધુ એક આંકડો એવો છે જે સરકારની ચિંતા વધારી શકે છે. 18 જુલાઈ સુધી દેશની લગભગ 4 કરોડ વસ્તીએ પહેલો ડોઝ લીધો ન હતો. તમને એ પણ જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર કોરોના સામે મફત રસીકરણ અભિયાન ચલાવી રહી છે.
4 કરોડ લાભાર્થીઓએ વેક્સિનનો એક પણ ડોઝ ન લીધો
કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે શુક્રવારે લોકસભામાં કહ્યું, "18 જુલાઈ સુધી, લગભગ 4 કરોડ લાભાર્થીઓએ કોવિડ રસીનો એક પણ ડોઝ લીધો નથી.
કુલ 201 કરોડ વેક્સિનના ડોઝ અપાયા
અત્યાર સુધી આપવામાં આવેલા કુલ 201 કરોડથી વધુ ડોઝમાંથી 97 ટકાથી વધુ લોકોને સરકારી રસીકરણ કેન્દ્રો પર વિના મૂલ્યે રસી આપવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામ લાયક પુખ્ત વયના લોકોને મફત બૂસ્ટર શોટ્સ આપવા માટે 75 દિવસની વિશેષ ઝુંબેશ પણ શરૂ કરી છે.
6.77 કરોડ પુખ્ત વયના લોકોએ બુસ્ટર ડોઝ લીધો
અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 6.77 કરોડ પુખ્ત વયના લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. આ વિશેષ ઝુંબેશ પહેલા, સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી) પર આ વર્ષે 16 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ (એચસીડબ્લ્યુ), ફ્રન્ટ-લાઇન વર્કર્સ (એફએલડબ્લ્યુ) અને 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે સાવચેતીના ડોઝ વિના મૂલ્યે ઉપલબ્ધ હતા. સરકારી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને પ્રિકોશન ડોઝ આપવા માટે 75 દિવસનું વિશેષ અભિયાન 15 જુલાઈથી શરૂ થયું હતું. 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ' અભિયાનનો હેતુ પાત્ર વસ્તીમાં કોવિડના સાવચેતીના ડોઝને પ્રોત્સાહન આપવાનો છે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે સરકારના આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતની 98 ટકા પુખ્ત વસ્તીને કોવિડ-રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે.