ગુજરાતભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો દેશ વિદેશમાં પણ સંક્રમણથી લોકો થથરી ઉઠયા છે. આ વચ્ચે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટના 30 નામાંકિત તબીબો કોરોના સંક્રમિત થતા તબીબી આલમમાં ફફડાટ ફેલાયો છે. એવું પણ કહેવાય છે કે, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં ચેપ લાગ્યા હોય શકે છે. આમાં તબીબો ઉપરાંત પરિવારના સભ્યો, હોસ્પિટલ સ્ટાફ પણ સંક્રમિત થયા છે.
મોરબીમાં રાજ્યમંત્રી મેરજાએ કરી સમીક્ષા
મોરબી જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં કેસોમાં સતત વધારો થતાં જિલ્લાના તંત્રમાં દોડધામ મચી છે. જિલ્લામાં સંક્રપણ પર કાબુ મેળવવા અધિકારીઓથી લઈ રાજ્ય સરકારના મંત્રી પણ ચિંતીત બન્યા છે.જેને પગલે મોરબીમાં પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ મનીષા ચંદ્રા સહિત તેમજ કલેક્ટર જે બી પટેલ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોરોનાની પુર્વ તૈયારીના ભાગરૂપે ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધન્વતંરી રથ, સંજીવની રથ, 108, દીનદયાળ ક્લીનીક, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ, એમ્બ્યુલન્સ સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રી બ્રિજેશ મેરજાએ બીજી લહેરના અનુભવોમાંથી સબક લઇને ત્રીજી લહેરમાં કોઇ તૃટીઓ ન રહે તે માટે ખાસ અનુરોધ કર્યો છે.