જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની 3 બેઠકના પરિણામ જાહેર થયા છે. પાર્ષદ વિભાગની બેઠક પર આચાર્ય પક્ષની જીત થઈ છે. પાર્ષદ વિભાગમાં આચાર્ય પક્ષના સમર્થક ઉમેદવાર પાર્ષદ ન્યાલકરણની જીત થઈ છે.
જ્યારે સંત વિભાગની બે બેઠકો પર દેવપક્ષની જીત થઈ છે. સંત વિભાગના કોઠારી દેવનંદન સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીની જીત થઈ છે. મહત્વનુ છે કે, રવિવારે જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી યોજાઈ હતી. પાર્ષદ વિભાગ, સંત વિભાગ અને હરિભક્ત વિભાગની ચૂંટણી યોજાઈ હતી. રવિવારે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે.
ત્યારે સ્વામિનારાયણ મંદિર પર નજર કરીએ તો વડતાલમાં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિર જ્યાં દેવપક્ષનું શાસન છે. તો તાજેતરમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યાં પણ દેવપક્ષનો વિજય થયો હતો. ગઢડામાં દેવપક્ષના 4 ઉમેદવારોની પેનલની જીત થઈ હતી. તો આચાર્ય પક્ષની હાર થઈ હતી.