બરવાળા લઠ્ઠાકાંડમાં દિવસેને દિવસે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે આજે વધુ 3 દર્દીઓના મોત થતા કુલ આંક 46એ પહોંચ્યો.
બરવાળા લઠ્ઠાકાંડમાં વધુ 3 દર્દીઓના મૃત્યુ
લઠ્ઠાકાંડનો કુલ મૃત્યુઆંક 46 થઇ ગયો
બોટાદમાં 33-ધંધુકામાં 13 મળીને કુલ 46 લોકોના મૃત્યુ
બોટાદના બરવાળા લઠ્ઠાકાંડમાં વધુ 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યાં છે. જેના લીધે લઠ્ઠાકાંડનો કુલ મૃત્યુઆંક 46 થઇ ગયો છે. બોટાદમાં 33 અને ધંધુકામાં 13 મળીને કુલ 46 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. લઠ્ઠાકાંડમાં 93 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલા 93માંથી 83 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
લઠ્ઠાકાંડમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
ભાવનગર ખાતે 10 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યાં છે. આ લઠ્ઠાકાંડમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બરવાળા, રાણપુર અને ધંધુકામાં ફરિયાદ નોંધાઈ છે. લઠ્ઠાકાંડના તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આ તમામ આરોપીઓ હાલમાં રિમાન્ડ પર છે. વધુમાં જણાવી દઇએ કે, બોટાદના લઠ્ઠાકાંડના આરોપીઓને ભાવનગરની જેલમાં મોકલાયા છે. 4 આરોપીઓને ભાવનગર જેલ હવાલે કરાયા છે.
12 પોલીસકર્મીઓની બદલી કરી દેવાઇ છે
વધુમાં તમને જણાવી દઇએ કે, આ મામલે 12 પોલીસકર્મીઓની બદલી કરી દેવાઇ છે. LCB અને SOGના 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરાઇ છે. બોટાદ લઠ્ઠાકાંડ મામલે
SITએ તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે. આ લઠ્ઠાકાંડમાં SITની રચના કરાઈ હતી.
હવે અમે દારૂને હાથ પણ નહીં લગાવીએ: ડિસ્ચાર્જ થયેલા દર્દી
મોતને માત આપી ઘરે પરત ફરેલા દર્દીઓએ આપવીતી જણાવતા કહ્યું હતું કે અમે 2 3 પોટલીઓ પીધી હતી. જે બાદ 3 4 કલાક પછી આંખે અંધારા આવ્યા હતા. ગામના ડૉક્ટરે બાટલો ચડાવતા થોડી રાહત થઈ હતી પણ અચાનક જ દેખાવવાનું બંધ થઈ ગયું હતું. ત્યારે એક જ વાત મનમાં હતી કે હવે દારૂને હાથ નહીં લગાવીએ. હવે ઘરે પરત ફરી રહ્યા છીએ ત્યારે તમામને વિશ્વાસ આપતા કહ્યું કે હવે દારૂને હાથ પણ નહી લગાવીએ તેવી નેમ લીધી છે. મહત્વનું છે કે ભાવનગર સિવિલમાંથી આ પહેલા પણ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
AMOS કંપની સીલ
AMOS કંપનીમાં નશાબંધી અને આબકારી વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે.કંપનીમાં રહેલ મિથેનોલ કેમિકલના નમૂના FSLમાં મોકલવામાં આવ્યા છે. તેમજ AMOS કપંનીના કેમિકલના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. કંપનીમાં રહેલ 8 હજાર લીટર કેમિકલને સીઝ કરી AMOS કંપનીને બંધ કરવાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આ તપાસમાં એ પણ ખૂલ્યું છે કે AMOS કંપની જોબ વર્ક પર કામ કરતી હતી અને ફીનાર કંપનીને મિથેનોલ કેમિકલનો જથ્થો આપતી હતી. અઢી લીટરની કાચની બોટલિંગ કરી પ્રોસેસિંગ કરતા હતા. સમગ્ર મામલે કંપનીના માલિક સમીર પટેલની પૂછપરછ કરવામાં આવશે. તો બીજી તરફ AMCએ એમોસ કંપનીને નોટિસ પાઠવી સીલ કરી દીધી છે. નોટિસમાં હેલ્થ અખાદ્ય પદાર્થનું લાયસન્સ ન હોવાથી સીલ કરાઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે.