શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દિવાળી વેકેશન બાબતે ટ્વિટ કરીને મહત્વની જાહેરાત કરી છે.
ઉચ્ચ શિક્ષણમાં દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે
છેલ્લા 2 વર્ષથી 13 દિવસનું જાહેર કરાતું હતુ વેકેશન
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી માહિતી
કોરોનાકાળ બાદ 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને હવે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને શાળા-કોલેજોમાં ફરી વેકેશન પડવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ચાલુ વર્ષે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટો નિર્ણય લીધો છે.
શું કહ્યું શિક્ષણમંત્રીએ?
શિક્ષણમંત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને લખ્યું કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા 2 વર્ષથી 13 દિવસનું દિવાળી વેકેશન હતું, તે દિવસોમાં ફેરફાર કર્યો છે અને 8 દિવસનો વધારો કરીને હવે આ વેકેશન 21 દિવસનું રહેશે. શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યો છે.
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતના શાળાઓમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન કુલ 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.