ગુજરાતના પ્રસિદ્ધ સાસણ ગીર જંગલોમાં ગત વર્ષે સિંહોના મોતના 140થી વધુ કેસ સામે આવ્યા છે. ગત બે વર્ષમાં સાસણ ગીરના જંલગમાં કુલ 261 સિંહોના મોત થઇ ચૂક્યા છે. જેમાં 148 સિંહોના મોત 2019 અને 113 સિંહના મોત 2018માં થયા છે. ગુજરાત સરકાર તરફથી વિધાનસભામાં આપવામાં આવેલ એક જવાબમાં આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
સિંહોના મૃત્યુ અંગે વન મંત્રી ગણપત વસાવાએ રજૂ કર્યો જવાબ
વિધાનસભામાં રાજ્ય સરકારે સિંહોના મોતના આંકડા રજૂ કર્યા
ગીર જંગલોમાં બે વર્ષની અંદર 261 સિંહોના મોત
સરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડાઓમાં જણાવ્યું છે કે અપ્રાકૃતિક કારણો અથવા દુર્ઘટનાઓમાં 11 સિંહો અને 6 સિંહબાળના મોત થયા છે. જોકે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અપ્રાકૃતિક કારણે થયેલ મોતની સંખ્યા ગત વર્ષ કરતા ઓછી થઇ છે.
સિંહોના મૃત્યુ અંગે વન મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે, સિંહો ગુજરાતનું ગૌરવ અને ઓળખ છે. સિંહોના સંવર્ધન માટે સરકારે યોગ્ય કામગીરી કરી છે. સિંહોના ભૂતકાળમાં થતા મૃત્યુ હાલ અટકાવવામાં આવ્યા છે. 27 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 40 કિમિ રેલવેના ટ્રેકની બાજુમાં ફેન્સીગ કરાવ્યું છે. રાજ્ય સરકારે નવું શેત્રુંજી ડિવિઝન શરૂ કર્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે જંગલમાં જીવોના સંરક્ષણ માટે વેટરનરી ડૉક્ટરોની તૈનાતી પણ કરવામાં આવી છે. 4 લાયન એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. 80 કરોડના ખર્ચે સિંહો માટે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યએ જે આક્ષેપ લગાવ્યો છે, તે ખોટો છે. વનવિભાગ અને ખેડૂતો સાથે મળીને સિંહોના સંવર્ધન માટે કામ કરે છે. વનવિભાગ ક્યારેય પણ ખેડૂતોને સીધા આરોપી બનાવતું નથી. જે કાર્યવાહી થાય છે તે નિયમ મુજબની જ થાય છે.