કેન્દ્ર સરકાર દ્વારા ૧ ડિસેમ્બર, ર૦૧૯થી નેશનલ હાઈવે પર ફાસ્ટેગ ફરિજયાત થઇ રહ્યું છે ત્યારે હવે તમામ લેન ફાસ્ટેગ માટે રહેશે. જેમણે ફાસ્ટેગ નહીં લીધું હોય તેમણે ટોલનાકા પરથી ખરીદવું પડશે. ૧પ નવેમ્બર સુધીમાં અમદાવાદથી બહાર જતાં ગુજરાત સહિત દેશનાં તમામ ટોલનાકા પર તમામ લેનમાં ફાસ્ટેગ ચાલુ થઈ જશે. હાઈવે ઓથોરિટી દ્વારા તમામ ટોલનાકા પર ૧પમીથી વાહનચાલકોને ફાસ્ટેગ લઈ લેવા આગ્રહ કરાશે અને નવા નિયમોની જાણકારી અપાશે.
૧પ થી ૩૦ નવેમ્બર દરમિયાન ટોલનાકા પર જો કોઈ વાહનચાલક પાસે ફાસ્ટેગ નહીં હોય તો તેમણે ખરીદી લેવું પડશે, ટોલનાકા ઉપરાંત બેન્કમાંથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે. રૂ.૪૦૦માં ફાસ્ટેગનું કાર્ડ લાઈફટાઈમ વેલિડિટી સાથે મળશે. કાર્ડમાં રૂ.૧૦૦થી માંડીને રૂ.૧ લાખ સુધી જમા કરાવી શકાય છે.
જમા કરાવેલા રૂપિયા લાઈફટાઈમ સુધી જમા રહેશે, જ્યારે કાર્ડ ખરાબ થશે તો અન્ય કાર્ડ રૂ.૧૦૦માં ખરીદી શકાશે. જ્યારે રોજબરોજ હાઈવેનો ઉપયોગ કરનારા વાહનચાલકોને રૂ.ર૩પમાં માસિક પાસ મળશે. કાર્ડની સિક્યોિરટી માટે ર૦૦ જમા થશે. ૧૦૦નું મિનિમમ રિચાર્જ કરાવવું પડશે. પસંદગીની બેન્ક, તેમની વેબસાઈટ અને ટોલ પ્લાઝા પરથી કાર્ડ મળી શકશે.
માય ફાસ્ટેગ એપ્લિકેશન ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ઓનલાઇન પણ લઈ શકાશે. વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ચાલકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, આઈડી પ્રૂફ તેમજ એડ્રેસ પ્રૂફની ઝેરોક્ષ (આ સાથે ઓરિજિનલ કોપી બતાવવી પડશે). પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પછી લિંક્ડ બેન્કના ખાતામાંથી સીધા રૂપિયા જમા થઈ જશે. ફાસ્ટેગ ટોલ વર્ષ ર૦૧૪થી શરૂ થયું હતું અને પહેલાં ફાસ્ટેગની એક જ લાઈન હતી.
ફાસ્ટેગ એક રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજી પર આધારિત ટેગ છે, જે ગાડીના વિંડસ્ક્રીન પર લગાવવામાં આવશે. ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલી ડિવાઈસ ટેગને રીડ કરશે અને ટોલ ગેટ તેની જાતે ખૂલી જશે. ટેગના ખાતાથી થનારાં તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો વાહનચાલકના રજિસ્ટર મોબાઈલ પર એસએમએસથી મળતી રહેશે.