ભરૂચના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામમાં એક તબેલામાં ભીષણ આગની ઘટના બની હતી. અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત થયું છે. જ્યારે 12 જેટલા ગાય-વાછરડા દાઝ્યા હતા. જોકે ફાયર સ્ટેશન નેત્રંગથી 35 કિલોમીટર દૂર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાથી આ પશુઓને બચાવી શકાયા નહોતા. જેથી પશુપાલકે અને ગ્રામજનોએ નજીકમાં ફાયર સ્ટેસન બનાવવાની માંગ કરી છે.
નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના તબેલામાં આગની ઘટના
આ દુર્ઘટનામાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત થયું
પશુપાલકોએ નજીકમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરી
'આગ'ની ઘટના દરરોજ સમાચાર પત્રોની હેડલાઇનો બની રહી છે. ત્યારે ભરૂચના કંબોડિયામાં લાગેલી આગે ચકચાર મચાવી છે. કંબોડિયાના એક તબેલામાં અચાનક આગ લાગતા 17 પશુઓના મોત થયા છે. પશુપાલક રામભાઇ રાખોલીયા બપોરે જમવા બેઠા હતા. આ સમયે તબેલામાં આગ લાગી હતી, જેને લઇને ગાય અને વાછરડાઓમાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગતાની સાથે જ પશુપાલકોએ તાત્કાલિક પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. 12 જેટલા પશુઓને બચાવી લેવાયા હતા. જોકે 20 મિનિટમાં તબેલો બળીને ખાખ થઇ ગયો હતો.
આ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
આ તબેલામાં આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. જોકે, તબેલા ફરતે નેટ અને વાસ બાંધેલા હતા અને અંદર ઘાસ ભરેલું હતું. જેથી ઘાસમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે તપાસ બાદ જ આગ લાગવાનું સાચુ કારણ બહાર આવશે.
નેત્રંગમાં ફાયર સ્ટેશનની વ્યવસ્થા હોત તો કદાચ આ ઘટનામાં આટલી મોટી જાનહાની થઇ ન હોત
તબેલામાં આગ લાગતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવા ખુબ જ પ્રયાસ કર્યો હતો. લોકોએ તબેલામાં આગ લાગતા માટી તેમજ પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી ન હતી અને આગમાં 17 અબોલા પશુઓના મોત નિપજ્યા હતા. તેથી જો આ નેત્રંગમાં ફાયર સ્ટેશનની વ્યવસ્થા હોત તો કદાચ આ ઘટનામાં આટલી મોટી જાનહાની થઇ ન હોત. પશુઓને બચાવી શકાયા હોત. આ ઘટના 11 લાખથી વધુ નુકસાન થયું છે. ત્યારે પશુપાલકોએ કહ્યું છે કે, નજીકમાં ફાયર સ્ટેશન હોત તો ગાય-વાછરડા અને પશુઓને બચાવી શક્યા હોત. જેથી નેત્રંગમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે તે જરૂરી છે.