ગુજરાતમાં અકસ્માતની બે ગંભીર ઘટનાઓ આજે સામે આવી. જેમાં એકમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા ને બીજામાં કારે ખતરનાક પલટી મારી છે.
ઝાલોદ-સંતરામપુર હાઈવે ઉપર ગંભીર અકસ્માત
ST-ટ્રાવેલ્સ બસ વચ્ચેના અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત
થરાદ ધાનેરા હાઇવે પર પણ ગંભીર અકસ્માત સર્જાયો
ગુજરાતમાં એક પણ દિવસ એવો નહીં હોય કે જે દિવસે ક્યાંક અકસ્માત ન સર્જાયો હોય. અવારનવાર રાજ્યમાં અકસ્માત ઘટ્યાની ઘટનાઓ આવતી હોય છે. ક્યારેક તો એકસાથે એટલાં અકસ્માત સર્જાતા હોય છે કે તે આખો દિવસ ગુજરાત માટે ગોઝારો બની જતો હોય છે. ત્યારે આજે ફરી ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે.
ST બસ અને ટ્રાવેલ્સ બસ વચ્ચે ગંભીર અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત
દાહોદના ઝાલોદ-સંતરામપુર હાઈવે ઉપર એસ.ટી બસ અને ટ્રાવેલ્સ બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 15 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના ઝાલોદના વેલપૂરા ગામ નજીક ઘટી છે. હાલમાં અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસને પણ આ અકસ્માતની જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પણ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ ધાનેરા હાઇવે પર બાઇકને બચાવવા જતાં કારે પલટી મારી
બીજી બાજુ આજે બનાસકાંઠામાં થરાદ ધાનેરા હાઇવે પર પણ ગંભીર અકસ્માત સર્જાયો છે. જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. થરાદના ભોરડુ નજીક પૂર ઝડપે આવી રહેલી ગાડી ફિલ્મી ઢબે પલટી મારે છે. ભોરડુ પેટ્રોલ પંપ આગળ બાઇકને બચાવવા જતાં કાર પલટી મારે છે. જો કે, ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓનો અકસ્માતમાં આબાદ બચાવ થયો છે.
આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTVમાં કેદ થઇ હતી. જો કે, આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકત્રિત થઇ ગયા હતા.
એકાદ દિવસ અગાઉ જામનગરના અકસ્માતમાં 2ના મોત નિપજ્યાં હતા
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હજુ એક દિવસ અગાઉ જ જામનગરનાં ફલ્લા ગામ નજીક ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યાં હતા. ફલ્લા ગામ નજીક રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક ડિવાઈડર કૂદીને બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.