અમદાવાદના વેજલપુરમાં 6 મહિના અગાઉ થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પતિએ જ પત્નીની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, આરોપીના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદના વેજલપુરમાં હત્યાના કેસમાં પતિની ધરપકડ
પતિએ સોપારી આપી પત્નીનું કરાવ્યુ હતુ મર્ડર
આરોપીના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદમાં વેજલપુરમાં શ્રીનંદનગરમાં મહિલાની હત્યા કેસમાં મુખ્યસૂત્રધારની ધરપકડ કરાઈ છે. આઈબી ઓફિસરની વેજલપુર પોલીસે ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ પોતાની પત્નીની હત્યા કરવા માટે સોપારી આપી હતી.
હત્યારો પતિ IBમાં ફરજ બજાવે છે
આરોપી રાધાકૃષ્ણ મધુકર દુધેલા IBમાં ઓફિસર છે જેણે પોતાની પત્નીની હત્યા કરવા સોપારી આપી હતી. ઘટના એવી છે કે 6 મહિના પહેલા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ-2માં એફ બ્લોકના મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.
આરોપીની વેજલપુર પોલીસે ધરપકડ
આ હત્યા કેસમાં અગાઉ પકડાયેલા આરોપી ખલીલદુદીનની પૂછપરછમાં મહિલાના પતિનું નામ ખુલ્યું હતું. છેલ્લા 6 માસથી ફરાર આરોપીની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ખલીલુદ્દીન સૈયદની પત્નીની હત્યા કરવા સોપારી આપી હતી.
હત્યારાએ ત્રીજા લગ્ન કર્યા હતા
પકડાયેલ આરોપી રાધાકૃષ્ણ છેલ્લા 24 વર્ષથી આઈબીમાં ફરજ બજાવે છે. જ્યારે દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવી છે. આરોપીએ 2014માં મનિષાબેન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પતિ પત્ની વચ્ચે મનમેળ ન બેસતા 2015માં મનિષાબેન કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટે રૂ. 9 લાખ ભરણપોષણ પેટે આપવાનો આદેશ કર્યો હતો. જેથી આરોપીએ પોતાની પત્નીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. આરોપીએ પોતાના મિત્ર ખીલીલુદીનને સોપારીના રૂ. 15000 પણ આપ્યા હોવાનું ખુલ્યું છે. અગાઉ પણ આરોપીએ બે લગ્ન કર્યા હતા. છૂટાછેડા લીધા બાદ મનિષાબેન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.
પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી
અગાઉ પોલીસે હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરી હતી. આ હત્યા કેસમાં આઈબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીએ હત્યા ષડયંત્ર બાદ ક્યાં ફરાર થઇ ગયો અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
શ્રીનંદનગરના એક મકાનમાંથી મળી આવ્યો હતો મહિલાનો મૃતદેહ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર સોસાયટીના વિભાગ-2ના એફ બ્લોકના એક મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું હતું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી હતી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
CCTV ફૂટેજમાં થયો હતો ઘટસ્પોટ
પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનને લઈને તપાસ કરતા આ વાહન રોયલ બ્રધર્સથી ભાડે લીધું હોવાનું અને ભાડે લેનાર તેલંગણાનો હોવાનું ખુલ્યું હતું. જેથી આ માહિતીના આધારે આરોપીને પકડવા પોલીસની એક ટીમ તેલંગાણા રવાના થઈ હતી. જ્યાં વાહન ભાડે લેનાર આરોપી ખલીલુદ્દીન સૈયદની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મનીષા દુધેલાના પતિ રાધાકૃષ્ણ દુધેલાએ સોપારી આપીને તેમની હત્યા કરાવી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.
મહિલાના પતિએ આપી હતી સોપારી
DCP ઝોન 7 બી.યુ જાડેજાએ જણાવ્યું કે, મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે. આ હત્યા કરાવવા પાછળ કારણ શું છે તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલઉદ્દીને કબૂલ્યું હતું કે IB ઓફીસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખીલીલુદીનને પોતાને બે સાગરીતો સતીષ અને જાવેદને સાથે રાખીને હત્યાના 10 દિવસ પહેલા તેલંગણાથી અમદાવાદ આવીને વેજલપુર વિસ્તારમાં મનીષાબેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.