તાપી જિલ્લાના ઊંડાણના ગામમાં આવેલ આશ્રમ શાળાના છઠ્ઠા ધોરણના વિધાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. સાથે અનેક તર્ક વિતર્કો પણ ઉભા થયા છે. માત્ર 11 વર્ષના માસૂમે ક્યાં કરણોસર આત્મહત્યા કરી ? શું આ આત્મહત્યા છે કે પછી હત્યા ? વગેરે કારણો સાથે પોલીસે તપાસ શરુ કરી છે.
ડોલવણ તાલુકાના ચૂનાવાડી ગામે આવેલા ગ્રામસેવા સમાજ દ્વારા સંચાલિત વનરાજ આશ્રમ શાળાના નિવાસી રૂમમાં રહી ધોરણ છમાં અભ્યાસ કરતા જીગ્નેશ દરૂવાડ નામના કપરાડા તાલુકાના પીપરોટી ગામના માસૂમે આત્મહત્યા કરી લેતા પંથકમાં અચરજની સાથે અનેક પ્રશ્નો ઉભા થયા છે, આ અંગે મૃતક માસૂમના સંબંધીઓએ પણ શંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસની માંગ કરી છે.
ચૂનાવાડી સ્થિત વનરાજ આશ્રમશાળામાં રહી ધોરણ છમાં ભણતા 11 વર્ષીય માસૂમની આત્મહત્યાના બનાવની જાણ થતા ડોલવણ પોલીસ સહીત આશ્રમ શાળાના આધિકારીઓ, તકેદારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, તેમાં પોલીસ તપાસ બાદજ સાચી હકીકત મલમ પડશે તેવું જણાવ્યું હતું.
તાપી જિલ્લામાં આટલા નાની ઉંમરે કોઈક માસૂમે આત્મહત્યા કરી હોવાનો પહેલો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેને લઈ અનેક શંકાઓ ઉભી થવા પામી છે, પોલીસે તો હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.
ત્યારે અનેક સવાલો થાય છે કે, માત્ર 11 વર્ષના માસૂમે ક્યાં કરણોસર આત્મહત્યા કરી? આ આત્મહત્યા છે કે હત્યા? આ મોત મામલે યોગ્ય તપાસ થશે?