નવસારીની તુલસીદેવી નામની બોટ મુંબઈ તરફ માછીમારી કરવા જઈ રહી હતી. પરંતુ બોટ વલસાડ અને દમણના દરિયા કિનારામાં 14 કિલોમીટર દૂરથી પસાર થઈ રહેતી એ વખતે જ અડધી રાત્રે બોટના એન્જિનમાં ખામી સર્જાઈ હતી.બોટમાં અચાનક જ યાંત્રિક ખામી સર્જાતાં 14 માછીમારોના જીવ તાળવે ચોટ્યા હતા. આ દરમિયાન કોસ્ટગાર્ડના જાંબાજ જવાનો તારણહાર બનીને આવ્યા હતા અને મધદરિયે જીવ સટોસટની બાજી લગાવી માછીમારોને ઉગારી લીધા હતા.
વલસાડ અને દમણના દરિયામાં એક તરફ બંધ પડેલી બોટ અને બીજી તરફ દરિયો જાણે તોફાને ચડ્યો હતો. દરિયામાં ભયાનક પવન ફૂંકાઈ રહ્યો હતો અને ઊંચા તોતિંગ મોજા બોટ સાથે અથળાઈને ખલાસીઓને ડરાવી રહ્યા હતા. બાકી હતું તો બોટમાં પાણી ભરાઈ રહ્યું હતું. પોતાને અને બોટને બચાવવા ખલાસીઓએ તમામ પ્રયાસ કર્યા પરંતુ સમંદરની તાકાત સામે માનવીના પ્રયાસો વિફળ રહ્યા હતા. આ દરમિયાન બોટ પાણીમાં દુબવા લગતા 14 લોકોના જીવન અને મરણનો સવાલ ઊભો થયો હતો. આથી કોસ્ટ ગાર્ડની રેસ્ક્યૂ ટીમની મદદ લેવા માટે તેમણે દમણ કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો સ્થિતિની ગંભીરતાને લઈને તુંરત દમણ કોસ્ટગાર્ડના જવાનોની હેલિકોપ્ટર ટીમ ખલાસીઓને બચાવવા મધ દરિયેઆ આવી હતી.
માછીમારોનું રેસ્ક્યૂ કરી દમણ કોસ્ટગાર્ડ પર લવાયા
કોસ્ટગાર્ડના જાંબાજ જવાનોના હેલિકોપ્ટર મઘદરીયે પહોંચ્યા હતા જ્યાં તેમણે ડૂબી રહેલી બોટમાંથી એક પછી એક એમ 11 માછીમારોને બચાવ્યા હતા આ એક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હતું. આ દરમિયાન બોટના માલિક અને અન્ય બે માછીમારે બોટને છોડવાનો ઈનકાર કર્યો હતો. ત્રણેય માછીમારે બોટ પર જ રહેવાની તૈયારી બતાવી હતી જે ને બાદ કરતા તમામ માછીમારોને રેસ્ક્યૂ કરી દમણ કોસ્ટગાર્ડ પર લાવવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા આ તમામ માછીમારોને દમણ કોસ્ટ ગાર્ડ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના માટે ભોજન અને તબીબી તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. તબીબી તપાસ બાદ મત્સઊદ્યોગ વિભાગને સોંપવાની તૈયારી કરાઈ હતી.
કોસ્ટગાર્ડની મદદથી મોતના મુખમાંથી બચ્યા બાદ માછીમારો હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ તેમણે કોસ્ટગાર્ડનો આભાર માની રહ્યા છે. તેઓમાં સમંદર સાથે જીવ સટોસટના જંગની વાત કરતાં જ જાણે ભયનું એક લખલખું પસાર થઈ રહ્યું હોય તેવી સ્થિતિ જન્મી હતી.