પેપર લીક કાંડ મુદ્દે હવે યુવરાજસિંહે ઊર્જા વિભાગમાં ભરતી કૌભાંડને લઇને ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. જેમાં વચેટિયા તરીકે ધનસુરાના ભાજપ યુવા મોરચાના મહામંત્રીનું નામ સામે આવ્યું છે.
ઊર્જા વિભાગની ભરતી પ્રક્રિયામાં મોટા કૌભાંડનો આરોપ
યુવરાજસિંહ જાડેજાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
UGVCL, PGVCL એમ પાંચ વિભાગમાં ગેરરીતિ થઈ હોવાનો દાવો
પેપર લીક કાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરીવાર ગંભીર આક્ષેપો કરતા સરકારી ભરતીમાં ગેરરીતિમાં જોડાયેલા લોકોની કુંડળી જાહેર કરી છે. જેમાં 2016થી 2023 સુધી સરકારી ભરતીમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ આરોપીઓના વગદાર લોકો સાથેના તાર જોડાયેલા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે હવે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં પણ મોટા કૌભાંડનો યુવરાજસિંહે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. આ કૌભાંડમાં જે વચેટિયાનું નામ છે તે અવધેશ પટેલ ધનસુરાના ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતિ આચરાઇ હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે.
GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરીક્ષાર્થીને નિમણૂંક આપી હોવાનો દાવો
યુવરાજ સિંહ જાડેજાએ GETCOની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપનો દાવો કર્યો છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરીક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ઉલ્લેખ કર્યો છે. કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લો અને જિલ્લાનો બાયડ તાલુકો હોવાનો યુવરાજસિંહ જાડેજાએ ઘટસ્ફોટ કર્યો છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરીક્ષાર્થીને નિમણૂંક આપવી એ શંકાસ્પદ બાબત છે. 2021માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્સ અપાયા. વચેટિયાઓમાં અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ અને શ્રીકાંત શર્માની સંડોવણી હોવાનો દાવો કરાયો. એજન્સીના મળતિયાઓ સાથે સંપર્ક રાખીને કૌભાંડ થયું હોવાનો પણ યુવરાજ સિંહે ગંભીર આરોપ લગાવ્યો છે. અજય પટેલ કે જે બાયડમાં ક્લાસિસ ચલાવે છે જ્યારે હર્ષ નાઈ શિક્ષક છે.
ઊર્જા વિભાગ કૌભાંડમાં પણ આ જ વ્યક્તિઓ સીધી રીતે સંકળાયેલા
ઊર્જા વિભાગનું એક વર્ષ પહેલાં 4 જાન્યુઆરી 2021ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને મે જાણ કરેલી કે ઉર્જા વિભાગમાં સિસ્ટમેટિક ઓનલાઇન સ્કેમ ચાલી રહ્યું છે. એની સાથે પણ આ જ વ્યક્તિઓ સીધી રીતે સંકળાયેલા છે. આ જ ભાસ્કર ચૌધરી અને તેની બીજી ગેંગ કે જે અન્ય રાજ્યોના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. જેનું અમે આજથી 1 વર્ષ પહેલાં સ્ટિંગ પણ કર્યું હતું. અને એ વીડિયો અમે પ્રેસ મીડિયાના માધ્યમથી તમારી સમક્ષ રાખીએ છીએ. આની સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિ આર.એમ પટેલ કે જેઓ લોર્ડ ક્રિષ્ના એકેડમી ચલાવતા હતા તે પણ આરોગ્ય વિભાગની જે ભરતીઓ હતી તેમાં પણ તેમની એટલી જ સંડોવણી છે.'
અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે: યુવરાજ સિંહ
વધુમાં યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, 'કેતન બારોટ કે જે અરવલ્લી સાથે સંકળાયેલ છે અને અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. કેતન બારોટનું મોસાળ નરસિંહપુર છે. અવિનાશ પટેલ પેપર લીકમાં સીધો જોડાયેલો છે. અવિનાશ પટેલના પત્ની અને અન્ય સંબંધી ઉર્જા વિભાગમાં નોકરી કરે છે. અવિનાશના પત્નીનું સર્ટિફિકેટ ખોટું છે.'
સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવો જરૂરી: યુવરાજ સિંહ
તદુપરાંત તેઓએ જણાવ્યું કે, 'મોબાઈલ ડિટેઈલના માધ્યમથી આ તમામ બાબતો સ્પષ્ટ થશે. અવિનાશ પટેલ કે જે અરવિંદ પટેલનો ભાણો છે. મનહર પટેલ, અરવિંદ, અવિનાશ પટેલ અને અજય પટેલ સાથે જોડાયેલા છે. LRD પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનામાં પણ આરોપીઓ સંકળાયેલા છે. અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. 2014 પછીની ભરતીની તપાસ CBI અથવા SIT દ્વારા કરવામાં આવે. નિશિકાંત સિંહાની ભૂમિકા આમાં મુખ્ય રહેલી છે તેની ધરપકડ થવી જોઈએ, તે રાજકીય વગ ધરાવે છે. નિશિકાંત સિંહા બ્યુરોક્રેટ સાથે જોડાયેલ છે. ભાસ્કર ચૌધરીને તિહાડ જેલમાંથી નિશિકાંત સિંહાએ છોડાવ્યા હતા. નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ આ સમગ્ર સ્કેન્ડલ સાથે જોડાયેલા છે. 2016થી આ તમામની ભૂમિકા શંકાસ્પદ રહેલી છે. છેલ્લાં 4 વર્ષમાં તેમની 10 કરોડ કરતા વધુની પ્રોપર્ટીમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારની તમામ ઓનલાઇન ભરતીમાં ફ્રોડ કરવામાં આવ્યું છે. ત્યારે સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવો જરૂરી છે.'