હાઈકોર્ટે અરજદારને કહ્યું- થોડા સમય માંસ ખાવાનું બંધ રાખો
જૈનના પવિત્ર પર્વ પયૂર્ષણમાં અમદાવાદનું એકમાત્ર કતલખાનું ચાલુ રાખવાની માગ કરનાર અરજદારને ઠપકો આપતા ગુજરાત હાઈકોર્ટે એવું સંભળાવ્યું કે તમે થોડા દિવસ માંસ ખાવાનું કેમ બંધ નથી રાખી શકતા. અરજદાર કુલ હિંદ જમિયત-અલ કુરેશી એક્શન કમિટી અમદાવાદનું એકમાત્ર કતલખાનું બંધ રાખવાના મનપાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ કેસની ગુરુવારે સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન અરજદાર કુલ હિંદ જમિયત-અલ કુરેશી એક્શન કમિટીએ એવી દલીલ કરી હતી કે મનપાનો નિર્ણય રાઈટ ટૂ ફૂડનો ઉલ્લંઘન સમાન છે. કમિટીનું પ્રતિનિધિત્વ કરનારા દાનિશ કુરેશી રઝાવાલાએ જણાવ્યું હતું કે આ મામલો પોતાને રોકવાનો નથી, પરંતુ મૂળભૂત અધિકારોનો છે.
થોડા દિવસ તો માંસ ખાવાનું બંધ રાખો- જસ્ટિસ સંદીપ ભટ્ટ
કમિટીની રજૂઆત બાદ જસ્ટિસ સંદીપ ભટ્ટે એવું કહ્યું કે તમે થોડા દિવસ શા માટે માંસથી દૂર રહી શકતા નથી. સુનાવણી બાદ જસ્ટિસ ભટ્ટે આ મામલાને 2 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધો.
અમદાવાદમાં એકમાત્ર કતલખાનું પર્યૂષણમાં બંધ કરાયું
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના એકમાત્ર કતલખાનાને 24થી 31 ઓગસ્ટ અને 4 અને 9 સપ્ટેમ્બર દરમિયાન તહેવારોને કારણે તેના શટર પાડી દેવાનો આદેશ આપ્યો હતો.
રસ્તાઓ પરથી નોન વેજ ફૂડની લારીઓ દૂર કરી શકાય
ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્ય સરકારને પૂછ્યું હતું કે શું તે શેરીઓમાંથી માંસાહારી ફૂડ પીરસનાર રેકડીઓ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, એક અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આવી ઝુંબેશ ચાલી રહી છે. રાજ્ય સરકારે આ આરોપને નકારી કાઢ્યો હતો.