અંદાજે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા કર્ણાટક સંકટનો ગઇકાલે અંત આવ્યો છે. કોંગ્રેસ અને જેડી(એસ) ધારાસભ્યોના રાજીનામાના કારણે છેલ્લા 14 મહિનાથી ચાલી રહેલી એચડી કુમારસ્વામીની સરકાર બહુમત પરીક્ષણમાં નિષ્ફળ જતાં સત્તામાંથી બહાર થઇ ગઇ. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ યેદિયુરપ્પા શુક્રવારે શપથ લે તેવી શક્યતા છે.
મતવિભાજનમાં કુમારસ્વામીના પક્ષમાં 99 અને જ્યારે વિરોધમાં 105 મત પડ્યાં હતા. ત્યારબાદ કુમારસ્વામીએ રાતે જ રાજ્યપાલ વજુભાઇવાળાને રાજીનામું સોંપી દીધુ હતુ. બીજી તરફ વિપક્ષના નેતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ આ સચની જીત બતાવતાં સરકાર બનાવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.
આ વચ્ચે મોડી રાત્રે ભાજપા વિધાયક દળની બેઠક યેદિયુરપ્પાની અધ્યક્ષતામાં એક હોટલ ખાતે મળી હતી. બેંગલુરૂમાં આજરોજ ભાજપ વિધાયક દળની બેઠક ફરી મળશે. યેદિયુરપ્પાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને સમર્થન માટે ધન્યવાદ કહ્યું હતું. ઉલ્લેખનીય છે યેદિયુરપ્પા રાજ્યમાં સરકાર બનાવાને લઇને રાજ્યપાલને મળે તેવી શક્યતા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ યેદિયુરપ્પા દિલ્લી ખાતે ભાજપના અધ્યક્ષ અમિત શાહને પણ મળવા જઇ શક છે.
મુખ્યમંત્રી તો યેદિયુરપ્પા રહેશેઃ ભાજપ
આ વચ્ચે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યેદિયુરપ્પા જ બનશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ આ અંગે પહેલાંથી જ પોતાનું મન બનાવી ચૂકી છે. જ્યારે ભાજપના નેતા જગદીશ શેટ્ટારે કહ્યું કે અમારી સાથે 105 ધારાસભ્ય છે. વિધાનસભામાં અમારી પાસે બહુમત છે. બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં સ્પીકરે હજી સુધી સ્વીકાર કર્યા નથી.
આ લોકતંત્રની જીતઃ બીએસ યેદિયુરપ્પા
આ લોકતંત્રની જીત છે. લોકો કોંગ્રેસ-જેડીએસ સરકારના કામકાજથી નાખૂશ હતા. કર્ણાટકના લોકોને ભરોસો આપુ છું કે નવા યુગની શરૂઆત થશે. અમે ખેડૂતોને આશ્વાસન આપી છીએ કે આવનાર દિવસોમાં તેમને વધુ મહત્વ આપવામાં આવશે.
કર્ણાટકના અપક્ષ ધારાસભ્યોની અરજી પર સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં મંગળવારે જણાવ્યું હતું કે કર્ણાટકના બે અપક્ષ ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં જલ્દી ફલોર ટેસ્ટ કરાવાની માંગવાળી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.