પંડિત જસરાજજીને ૩ વર્ષની ઉંમરે હૈદરાબાદ આવવાનું થયું અને ત્યાં વિવેક વર્ધન શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો અને પંડિતજીની સંગીતની સફર બપોરના ભોજન બાદ તેમના પિતાના પેટ પર બેસીને થતી અને પિતા તેમને સંગીત શીખવાડતા.
શાસ્ત્રીય સંગીત જગતમાં પંડિત જસરાજજીનું નોંધનીય પ્રદાન છે.સિલ્કની ધોતી,કુર્તા અને બંડી તથા ગળામાં માળાનો પોશાક પહેરતા પંડિતજી શાસ્ત્રીય સંગીતની આધ્યાત્મિક ચરમસીમાના દેવદૂત સમા લાગે છે.તેમનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૩૦નાં રોજ હરિયાણા રાજ્યનાં પીલ્લી મંદોરી ખાતે માતા ક્રિષ્ના પંડિત અને પિતા મોતીરામજી પંડિત ને ત્યાં થયો હતો.
૩ વર્ષની ઉંમરે હૈદરાબાદ આવવાનું થયું ત્યાં વિવેક વર્ધન શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. પંડિતજીની સંગીત સફર બપોરના ભોજન બાદ પિતા મોતીરામજીનાં પેટ પર બેસીને શરૂ થતી,પંડિત મોતીરામજી પુત્ર જસરાજને કૃષ્ણગીત 'બાંકે તીરછી નજરીયા લગાય ગયો રે...' શીખવાડતા.આ પદ શીખવાડ્યા બાદ તે સમયના જાણીતા ગાયક ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન સાહેબ ની જાણીતી રચના 'પિયા બીન નહી આવત જાયે' ગવડાવતા..અને ક્યાંક ભૂલ પડે તો હસવા લાગતા.
૩૦ નવે.૧૯૩૪ નાં રોજ પંડિતજીના પિતાજી હૈદરાબાદ નિઝામ સ્ટેટના સંગીતકાર બનવાના હતા.આ કાર્યક્રમ ૪ વાગે શરુ થવાનો હતો ત્યારે ૧૧ વાગે અચાનક પંડિત મોતીરામજી નું અવસાન થયું અને સ્વપ્ન અધૂરું બન્યું. મોટા ભાઈ પંડિત મણિરામજીનાં શિરે બધી જવાબદારી આવતાં સંગીતની ખરી તાલીમ પણ એમની પાસેથી મેળવી તેથી તેઓ મોટાભાઈ ને પોતાનાં સંગીતગુરૂ માને છે. મેવાતી ઘરાનાની સાધના કરવાનું સદભાગ્ય પંડિતજીનાં પરિવારને ચાર પેઢીથી સાંપડ્યું છે.
સાણંદ બાપુ સાહેબને ૧૪ વર્ષની ઉંમરે મળવાનું થયું.ત્યાં તેમને ત્યાં આવતાં સ્વામી વલ્લભદાસજીનો પણ ઘણો પ્રભાવ પોતાનાં પર છે તેવું પંડિતજી માને છે. માતાજીના પરમ ઉપાસક એવા સાણંદનાં દરબાર (બાપુ સાહેબ) શ્રી જૈવંતસિંહજી વાઘેલા સાથે નજીકનો સંબંધ ધરાવતા પંડિતજી તેમને પોતાનાં આધ્યાત્મિક ગુરૂ માને છે.
૧૯૫૫ની સાલમાં એક ફિલ્મનાં 'જનક જનક પાયલ બાજે' ગીતના રેકોર્ડીંગ સમયે પંડિતજીની મુલાકાત જાણીતા સંગીતકાર વી.શાંતારામનાં દીકરી મધુરાજી સાથે થઇ અને ૧૯૬૨માં એ મુલાકાત લગ્નમાં પરિણમી.મધુરાજી અને પંડિતજીની પુત્રી દુર્ગા સફળ સંચાલક અને મેવાતી ઘરનાનાં આરાધક છે તથા પુત્ર સારંગદેવ ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે.
પંડિતજીના કંઠે ગવાયેલ ' જયહિન્દ ' અને ' તિરંગા ' રચના રાષ્ટ્રીયભાવનાને ઉજાગર કરે છે.તથા ' નમો ભગવતે વાસુદેવાય ', " કસ્તુરી તિલકમ ", હર હર હર ભૂતનાથ પશુપતિ " " મેરો અલ્લાહ મહેરબાન " તથા સાણંદ બાપુસાહેબ રચિત માતા કાલિકા,જેવી અનેક ભક્તિગીતોનાં ગાન દ્વારા પંડિતજી ચાહકોના દિલમાં આગવું સ્થાન ધરાવે છે.
અવાજની સમૃદ્ધતા ધરાવતા પંડિત જસરાજજીના કંઠે ગવાયેલ અનેક ભક્તિપદોની સી.ડી.-કેસેટ બજારમાં ઉપલબ્ધ છે. ગણતરીના વર્ષ પહેલા મુંબઈમાં અંધેરી-વરસોવા રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાને ગુજરાતમાં જેમની સાથે તેમને નિકટનો સંબંધ છે તેવા ચાહકો-શિષ્યો પૈકીના ડો.પ્રણવ ઠાકર દ્વારા એક અલભ્ય મુલાકાત ગોઠવાઈ. ત્યારે તિરુપતિ બાલાજી અને દિલ્હીના પ્રવાસેથી પરત આવેલા પંડિતજીના ચહેરા પર થાક અચૂક દેખાતો હતો.છતાં વાતચીત દરમિયાન ચહેરા પર આવતું સ્મિત લાંબી મુસાફરીના થાકને દેખાવા નહોતું દેતું.ડૉ.પ્રણવ ઠાકર,વઢવાણ-સુરેન્દ્રનગર તથા જામનગર ખાતેની ડૉ.ઠાકર સાથેની મુલાકાતની વાતો વચ્ચે પંડિતજી સહજ રીતે બોલ્યા " ક્યાં લોગે આપ ? " નકારમાં પ્રત્યુત્તર વાળતા ફરી એમણે કહ્યું ' કુછ તો લેના પડેગા..!! ' ચલો શ્રી બાલાજીકા પ્રસાદ લો.અને હૃદયનાં ભાવની મીઠાશ ભેળવેલો પ્રસાદ આપ્યો.
જિંદગીનાં નવ દાયકા વટાવી ચુકેલા પંડિતજી સાથેની વાતો ખાસ મુલાકાત બનતી જતી હતી.અચાનક ઈશારો કરી આ લખનારને નજીક બોલાવી પોતાનાં ચરણો પાસે બેસાડી જમણા હાથનો અંગુઠો પોતાનાં જમણા અંગુઠાનો સ્પર્શ કરાવી કોઈ ખાસ તરંગો શરીરમાં વહેતા મુક્યા જે આજે પણ અનુભવી શકાય છે.
અવાજની સમૃદ્ધતા,સહજ સ્વભાવ ધરાવતા પંડિતજીને પદ્મશ્રી,પદ્મભૂષણ,સંગીત માર્તંડ,સંગીત કલારત્ન,દીનાનાથ મંગેશકર અવોર્ડ તથા વિવિધ સન્માન પ્રાપ્ત થયેલા છે.વિશેષ વાત એ છે કે કેનેડાની યુનિ.ઓફ ટોરંટો,અમેરિકાની ન્યુયોર્ક અને હાવર્ડ યુનિ.એ પોતાનાં ઓડીટોરીયમ સાથે પંડિતજીનું નામ જોડી તેમનું વિશેષ સન્માન કર્યું છે. આ સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતને નાસાના વિજ્ઞાન સમુદાય દ્વારા પંડિત જસરાજના નામે એક ગ્રહનું નામ આપ્યું. જે ગ્રહ નાસા અને ઈંટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન 2006 શોધાયો હતો જે ગ્રહનું નામ પંડિત જસરાજ રાખી નાસાએ જસરાજજીને સન્માન આપ્યું છે.